કોરોના વાયરસના કારણે ભારતમાં સ્પોર્ટ્સ જગતને જાણે ગ્રહણ લાગી ગયું છે. વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ આઈપીએલનું આયોજન પણ કોરોનાના કારણે થઇ શક્યું નથી ત્યારે ઘણા બધા ક્રિકેટ ચાહકો આતુરતાથી લીગનું આયોજન થાય તેની રાહ જોઈ રહ્યા છે. સૌરવ ગાંગુલીએ પણ કહ્યું હતું કે ટૂર્નામેન્ટનું આયોજન કરવાના પૂરતા પ્રયત્ન કરીશું. ત્યારે હવે આ ટૂર્નામેન્ટને લઈને નવા અહેવાલો સામે આવી રહ્યા છે
વિદેશમાં આઈપીએલનું આયોજન કરવા પર વિચાર કરી શકે છે BCCI
17 જુલાઈએ બેઠકમાં કરવામાં આવશે ચર્ચા
ટી 20 વર્લ્ડ કપ પણ મુલતવી થઇ જાય તેવી પ્રબળ સંભાવના
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દુબઈમાં વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું વિચાર કરી રહી છે. જોકે આ ફેંસલો ત્યારે જ લેવામાં આવશે જ્યારે યુએઈમાં લીગનું આયોજન કરવાની મંજૂરી મળી જાય. 17મી જુલાઈએ બોર્ડની એપેકસ કાઉન્સિલ બેઠકમાં આ નિર્ણય પર વિચાર કરવામાં આવશે.
ટી 20 વર્લ્ડ કપ મુદ્દે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ કોઈ નિર્ણય લે તેની રાહ જોવામાં આવી રહી હે અને માનવામાં આવી રહ્યું છે ઓક્ટોબર મહિનામાં યોજાવાની આ ટૂર્નામેન્ટ રદ્દ થઇ જશે અથવા ટાળી દેવામાં આવશે ત્યારે બીસીસીઆઈના સૂત્રો અનુસાર ભારતમાં પહેલા મુંબઈ, પૂણે અને નવી મુંબઈમાં આઈપીએલનું આયોજન કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે વધતા કોરોનાને જોતા દેશમાં આયોજન થાય તેની સંભાવના ખૂબ ઓછી થઇ રહી છે.
આ પરિસ્થતિમાં હવે બોર્ડ પાસે એક જ વિકલ્પ છે કે જો ટૂર્નામેન્ટ કરાવવી જ હોય તો ભારતની બહાર મેચ કરાવી દેવામાં આવે. 17 જુલાઈએ બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ મીડિયામાં અહેવાલો આવ્યા છે કે બોર્ડે ભારતીય ટીમ માટે ફિટનેસ કેમ્પનું આયોજન કરવા માટે પણ વિચારણા શરુ કરી છે.
લોકડાઉનના કારણે કેટલાય મહિનાઓથી ખેલાડીઓ સાથે મળીને કોઈ પ્રેક્ટીસ કરી નથી ત્યારે ટૂર્નામેન્ટનું આયોજન થાય તે પહેલા કેમ્પનું આયોજન પણ કરવામાં આવી શકે છે.જોકે થોડા દિવસ પહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે જો ટી 20 વર્લ્ડ કપને મુલતવી કરી દેવામાં આવે છે તો અમે આઈપીએલનું આયોજન કરવા પર વિચાર કરીશું અને અહિયાં જ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે પ્રયત્ન કરીશું.