ભારતીય રેલવેએ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. એવામાં તમને પણ ઘરમાંથી નિકળતા પહેલા બદલાયેલા નિયમોની જાણકારી હોવી જરૂરી છે. જો માહિતી નહીં હોય તો તમને દંડ થઇ શકે છે અથવા તમને મુશ્કેલી પડી શકે છે.
ભારતીય રેલવેએ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે નિયમોમાં ફેરફાર કર્યો
હવે રાત્રે મુસાફરી કરનારા લોકો શાંતિથી મુસાફરી કરી શકશે
ફરિયાદ મળતા નિયમનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરાશે
નિયમો અંગે તમારે અપડેટ રહેવુ જરૂરી
રેલવે તરફથી પ્રવાસીઓની સુવિધા માટે નિયમોમાં ફેરફાર થતો હોય છે. રેલવેએ એક વખત ફરીથી ટ્રેનમાં પ્રવાસ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. બદલાયેલા નિયમો અંગે તમારે અપડેટ રહેવુ જરૂરી છે. રેલવે તરફથી બનાવવામાં આવેલા નવા નિયમો ખાસ કરીને રાત્રે મુસાફરી કરનારા લોકો પર લાગુ પડશે.
શું છે નવો નિયમ
રેલવે બોર્ડને વારંવાર રાત્રે મુસાફરી કરનારા લોકોને સમસ્યા હોવાની ફરિયાદ મળતી રહે છે. જેને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ પણ જો પ્રવાસીઓની ઉંઘમાં ખલેલ પડશે તો તેની જવાબદારી રેલવે વહીવટી તંત્રની રહેશે. નવા નિયમોને લાગુ પણ કરી દેવામાં આવ્યાં છે. નિયમ મુજબ, રાત્રે પ્રવાસ કરતી વખતે તમારી સાથે પ્રવાસ કરી રહેલો કોઈ પણ યાત્રી મોબાઈલ પર મોટા અવાજે વાતચીત કરી શકશે નહીં. તે મોટા અવાજે ગીતો પણ સાંભળી શકશે નહીં. મુસાફરી કરનારા મુસાફરો પાસેથી ફરીયાદ મળતા નિયમનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
સમસ્યાનું કરવુ પડશે સમાધાન
નવા નિયમ હેઠળ મુસાફરને મુશ્કેલીની ફરિયાદ થવાથી ટ્રેન સ્ટૉફે ઘટનાસ્થળે જઇને સમસ્યાનું સમાધાન કરવુ પડશે. જો સમાધાન નહીં થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ટ્રેન સ્ટાફની રહેશે. રેલવે બોર્ડ તરફથી તમામ ઝોનના જનરલ મેનેજરને આ અંગે આદેશ જાહેર કરી નિયમોને લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે.