રવિવારે તિરુવનંતપુરમના ગ્રીન ફીલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં શ્રેણી જીતવાના ઇરાદા સાથે ભારતીય ટીમ મેદાન પર ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલી (અણનમ 94)ની તોફાની ઇનિંગ્સના કારણે શુક્રવારે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે વિન્ડિઝને છ વિકેટે હરાવી હતી. ભારતને ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મળી છે. આ મેચ સાંજે સાત વાગ્યાથી રમાશે.
બીજા ટી-20માં ભારતીય બેટ્સમેન કરશે ધમાકો
એકવાર ફરી બધાંની નજર કેપ્ટન કોહલી પર
પ્રથમ ટી-20 મેચમાં ભારતે વિન્ડિઝને છ વિકેટે હરાવી
પ્રથમ ટી 20માં ટીમ ઇન્ડિયાએ 8 બોલ બાકી હતા છતાં 208 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ ટી-20માં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. કોહલી સિવાય કેએલ રાહુલે પણ ભારતની આ જીતમાં ફાળો આપ્યો હતો, જેમણે કોહલી સાથે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. આ ભાગીદારીમાં રાહુલે 62 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી કોહલી અને ટીમ મેનેજમેન્ટ ખૂબ જ ખુશ થશે અને આગળની મેચોમાં પણ બેટ્સમેનોનું આવું જ ફોર્મ ચાલુ રહે એવી ઈચ્છા છે. પરંતુ ટીમે બાકીના બે વિભાગ- બોલિંગ અને ફિલ્ડિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. જો આપણે છેલ્લી મેચ પર નજર કરીએ તો, આ બંને વિભાગની ટી-20 રેન્કિંગમાં વિશ્વની પાંચમા નંબરની ટીમે સુધાર કરવાની જરૂર છે.
કેરેબિયન બેટ્સમેનોએ સ્કોર બોર્ડ પર 207 રન બનાવ્યા હતા
ભારતે પ્રથમ મેચમાં ઘણા કેચ ગુમાવ્યા હતા, તેનો ફાયદો ઉઠાવીને કેરેબિયન બેટ્સમેનોએ સ્કોર બોર્ડ પર 207 રન બનાવ્યા હતા. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ મેચ જીતવા અને શ્રેણીમાં ટકી રહેવા માંગશે. અફઘાનિસ્તાન સામે શ્રેણી 1-2 સીરિઝ હારી ગયા બાદ હાલની ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન વિન્ડીઝ ટીમ કોઈ પણ સંજોગોમાં બીજી શ્રેણી ગુમાવવા માંગશે નહીં.
પોલાર્ડે સ્વીકાર્યું કે ટીમને તેની બોલિંગમાં સુધારો કરવાની જરૂર છે
કેપ્ટન કીરોન પોલાર્ડે સ્વીકાર્યું કે ટીમને તેની બોલિંગમાં સુધારો કરવાની જરૂર છે. હૈદરાબાદ ટી-20માં ટીમે વધારાના 23 રન આપ્યા હતા. પોલાર્ડે કહ્યું કે, આ મેચ બાદ હારનું આ મુખ્ય કારણ હતું. જ્યારે બેટિંગમાં તે શિમરોન હેટમેયર પાસેથી બીજી અડધી સદીની અપેક્ષા રાખશે, ત્યારે કેપ્ટન પોલાર્ડ અને એવિન લુઇસ જેવા બેટ્સમેન પણ ટીમ માટે સારું પ્રદર્શન કરવા માગે છે. પ્રથમ મેચમાં હેટમેયરે 56, લુઇસે 40 અને પોલાર્ડએ 37 રન બનાવ્યા હતા.