દેશના અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર એક પછી એક પગલાં લઈ રહી છે. જેમાં હવે સરકાર હવે વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા માટે ઘણી છૂટ આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ વિદેશી કંપનીઓ 10 વર્ષ માટે તમામ પ્રકારના ટેક્સમાં છૂટ આપવા અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
દેશના અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર કરશે આ કામ
વિદેશીઓ કંપનીઓને ભારત લાવવા માટે આપશે છૂટ
દેશની આર્થિક સ્થિતિને સુધારવા સરકાર લેશે આ અગત્યના પગલાં
શું હશે સરકારનો મેગા પ્લાન
એક અખબારમાં પ્રકાશિત સમાચાર મુજબ, વિદેશ કંપનીઓને રોકાણના આધારે ટેક્સમાં છૂટ આપવામાં આવશે. જો કોઈ કંપની 50 કરોડ ડોલર (લગભગ 3800 કરોડ રૂપિયા)થી વધુનું નવું રોકાણ કરે છે તો એ કંપનીને 10 વર્ષ સુધી ટેક્સમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. કર મુક્તિની આ યોજના વાણિજ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયને મોકલી છે.
આ કર મુક્તિનો લાભ લેવા માટે કંપનીઓએ 1 જૂનથી 3 વર્ષનની અંદર આ ઓપરેશનની શરૂઆત કરવી પડશે.
મેડિકલ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને કેપિટલ ગુડ્ઝ સાથે જોડાયેલી કંપનીઓને ટેક્સમાં છૂટ મળશે.
જે કંપનીઓ લેબર આધારિત સેક્ટર્સ જેમ કે, ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસસિંગ, લેધર અને ફુટવિયર સેક્ટરમાં 100 કરોડ ડોલર (લગભગ 7600 કરોડ રૂપિયા)થી વધુનું રોકાણ કરશે તો આવી કંપનીઓને ચાર વર્ષ સુધી ટેક્સમાં સંપૂર્ણ છૂટ આપવામાં આવશે.
આ પછી આગામી 6 વર્ષ સુધી 10 ટકાના ઓછાં દર પર કોર્પોરેટ ટેક્સની ચૂકવણી કરવાની રહેશે. આ પ્રસ્તાવને હજી નાણા મંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
આ અંતર્ગત ચીનને છોડનાર કંપનીઓને ભારતમાં નવા પ્લાન્ટ લગાવવા માટે સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કોરોનાને લીધે એપ્રિલમાં લગભગ 1.22 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે અને ગ્રાહકોની માંગ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે.
વાણિજ્ય મંત્રાલયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા માટે 50 ઈન્ડસ્ટ્રી ક્લસ્ટર્સ પસંદ કર્યા છે. આ ક્લસ્ટર્સમાં પરીક્ષણ પ્રયોગશાળાઓ અને સંશોધન અને વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આમાં ટેક્સટાઈલ, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોના વિકાસનો સમાવેશ છે. આ સાથે જ મંત્રાલય ટૂરિઝ્મ જેવા સેવા સેક્ટરની યોજના પર પણ કામ કરી રહ્યું છે.