ભારતે ફરી બતાવ્યું મોટું દિલ કહ્યું- અમે આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનની મદદ કરવા તૈયાર છીએ
બુધવારે અફઘાનિસ્તાનમાં આવ્યો હતો ભયાનક ભૂકંપ
ભારતની પહેલી રાહત સહાય કાબુલ પહોંચી
ભારતે કહ્યું આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનની મદદ કરવા તૈયાર છીએ
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આ કુદરતી આફતગ્રસ્ત દેશને મદદની ખાતરી આપી છે. ભયાનક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે ભારતે કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં આવેલા ભીષણ ભૂકંપમાં 1000થી વધુ લોકોના મોત થયા છે, હજારો મકાનો ધરાશાયી થયા છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે.
The first consignment of India's earthquake relief assistance for the people of Afghanistan has reached Kabul; handed over by the Indian team there, and further consignment to follow, says the Ministry of External Affairs. pic.twitter.com/4AxoJwWinq
તમને જણાવી દઈએ કે બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના મધ્ય વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર પક્તિકા પ્રાંતના ચાર જિલ્લાઓ જ્ઞાન, બરમાલા, નાકા અને જીરુક તેમજ ખોસ્ત પ્રાંતના સ્પેરા જિલ્લામાં જોવા મળી હતી. સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી એજન્સી 'યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ' (OCHA)એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછામાં ઓછા 1000 લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા બેઘર બન્યા છે. લગભગ બે હજાર મકાનો ધરાશાયી થયા છે.
ભારતે શોક વ્યક્ત કર્યો
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ ગુરુવારે અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું કે હું અફઘાનિસ્તાનમાં આવેલા ગંભીર ભૂકંપથી પીડિત લોકો અને તેમના પરિવારો અને દરેક વ્યક્તિ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તેમણે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનના લોકોની પીડાને સમજે છે અને આ મુશ્કેલ સમયમાં મદદ કરવા તૈયાર છે.
ભારતની રાહત સહાય કાબુલ પહોંચી
આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે, 'અફઘાનિસ્તાનના લોકો માટે ભારત તરફથી ભૂકંપ રાહત સહાયનો પહેલો માલ કાબુલ પહોંચી ગયો છે. તેને ત્યાં ભારતીય ટીમને સોંપવામાં આવી છે. હવે વધુ મદદ મોકલવામાં આવશે. ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારતે સુરક્ષા પરિષદના ઠરાવ 2615ને સમર્થન આપ્યું છે, જે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાની ખાતરી આપે છે. તિરુમૂર્તિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હંમેશની જેમ અફઘાનિસ્તાન પ્રત્યે ભારતનું વલણ તેની ઐતિહાસિક મિત્રતા અને અફઘાનિસ્તાનના લોકો સાથેના વિશેષ સંબંધો પર આધારિત છે.