ચીન સાથે છેલ્લા કેટલાક સમયથી લદ્દાખ અને લેહમાં ચાલી રહેલા સરહદી વિવાદ પર યોજાઇ રહેલી શ્રેણીબદ્ધ સૈન્ય સ્તરની શાંતિ વાટાઘાટોનો દંભ ઉઘાડો પડી ગયો છે. ભારત સાથે લશ્કરી મંત્રણામાં શાંતિની વાતો કરતા ચીનનું અસલી યુદ્ધખોર માનસ ઉઘાડું પડી ગયું છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને યુુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી છે.
ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી ચાલી રહ્યો છે સરહદી સંઘર્ષ
સૈન્ય સ્તરની શાંતિ વાટાઘાટોનો દંભ ઉઘાડો પડ્યો
ભારત સરકારે હવે સતર્ક અને સાવધાન થઇ જવાની જરૂર
ચીની પ્રમુખે તાજેતરમાં દક્ષિણમાં આવેલા ગુઆંગડોંગના લશ્કરી મથકની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે સૈન્ય ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહે. મગજ સતત સતર્ક રાખે, કેમ કે ગમે તે ઘડીએ લડાઈ કરવી પડી શકે છે. જિનપિંગે આ ઉપરાંત સૈનિકોને વફાદાર રહેવાની પણ સલાહ આપી હતી એટલે કે તેમને ચીની સેનાની વફાદારી પર પણ શંકા છે. ગુઆંગડોંગમાં ચીની નૌકાદળનું મહત્ત્વપૂર્ણ મથક આવેલું છે. ગુઆંગડોંગ ઈકોનોમિક ઝોનનાં ૪૦ વર્ષ થયાં એ પ્રસંગે હાજરી આપવા જિનપિંગ આવ્યા હતા. આ બંદરથી તાઈવાન ૮૦૦ કિલોમીટર પણ દૂર નથી. તાઈવાન પર કબજો જમાવવાની ધમકી ચીન આપી ચૂક્યું છે.
ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી ચાલી રહ્યો છે સરહદી સંઘર્ષ
ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી સરહદી સંઘર્ષ ચાલે છે. એ વચ્ચે આ જિનપિંગનું વિધાન ઘણું મહત્ત્વનું મનાય છે, કેમ કે ભારત-ચીન વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી પણ સમાધાન થઈ શક્યું નથી. સમાધાન ન થવાનું કારણ જિનપિંગ છે, કેમ કે સમાધાન થવા દેવા તેઓ ઈચ્છતા જ નથી. આ વિધાન દ્વારા જિનપિંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો.
જિનપિંગે બડાશ હાંકી છે કે, ચીનનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર
સાથે-સાથે જિનપિંગે એવી પણ બડાશ હાંકી છે કે ચીનનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે અને હાઇ એલર્ટ પર છે. શી જિનપિંગના આ પ્રકારના યુદ્ધની હાકલ કરતા ખુલ્લેઆમ નિવેદન અને વલણને લઇ હવે ભારતે પણ ગંભીર બની જવાની જરૂર છે. આ સંજોગોમાં ચીન સાથે ભારતે શું કરવું જોઇએ અે એક અહં અને વેધક સવાલ છે. સરકાર આ મુદ્દા પર વિચાર કરવા માગતી નથી એમ જણાઇ રહ્યું છે. સરકારે પણ ઘણું બધું પરિસ્થિતિ પર છોડી દીધું છે. ભારત સરકાર એવું માની રહી છે કે બંને દેશો વચ્ચે લશ્કરી કમાન્ડર સ્તરની જે બેઠકો યોજાઇ રહી છે અને પરંપરાગત રાજદ્વારી ચેનલથી વાત અને વિવાદ ઉકેલાઇ જશે. જો સરકાર આમ માનતી હોય તો તેના પક્ષે આ ગંભીર ભૂલ છે.
ભારત સરકારે હવે સતર્ક અને સાવધાન થઇ જવાની જરૂર
એમાં પણ હવે જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગે યુદ્ધ માટે ખુલ્લેઆમ રાગ આલાપ્યો છે ત્યારે ભારત સરકારે હવે સતર્ક અને સાવધાન થઇ જવાની જરૂર છે. ભારતે ચીન સાથે હવે કઇ રીતે કામ લેવું જોઇએ તે બાબતે ગંભીરપણે વિચારવાની જરૂર છે. અમેરિકાએ પણ ભારતને સતર્ક કરી દીધું છે કે ચીન યુદ્ધ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ તાજેતરમાં ભારતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે ચીને ભારતની ઉત્તર સરહદે વાસ્તવિક અંકુશરેખા (એલએસી) નજીક ૬૦,૦૦૦ સૈનિકોનો જંગી જમાવડો કર્યો છે.
ચીન અંગે ભારતને સતર્ક કરનારા એકલા માઇક પોમ્પિયો જ નથી
ચીન અંગે ભારતને સતર્ક કરનારા એકલા માઇક પોમ્પિયો જ નથી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને પણ પોમ્પિયોથી બે ડગલાં આગળ વધીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચીન સાથે હવે માત્ર વાતચીત કે વાટાઘાટથી કામ ચાલશે નહીં. ચીને પોતાની વિસ્તારવાદી નીતિનો ખુલ્લેઆમ સંકેત આપી દીધો છે. ચીન ભારતની સરહદે જે કંઇ કરી રહ્યું છે તેના પરથી તેના ઇરાદા ઉઘાડા પડી ગયા છે અને એટલા માટે હવે વાતચીત હવે કંઇ હાંસલ થવાનું નથી અને તેનો સીધો અર્થ એવો થાય છે કે ભારતે હવે ચીન સાથે યુદ્ધ કરી લેવું જોઇએ. ભારતે હવે આક્રમક વલણ અપનાવવાની જરૂર છે. ભારતે એ સ્ટાઇલમાં ચીનની આક્રમકતાને દુનિયાને બતાવવી જોઇએ, જે સ્ટાઇલમાં પોમ્પિયો અને રોબર્ટ ઓ બ્રાયન વાત કરી રહ્યા છે. હવે ચીન પર વિશ્વાસ રાખીને હાથ જોડીને બેસી રહેવાથી કામ નહીંં ચાલે. ચીનની જેમ ભારતે પણ પૂરતા પ્રમાણમાં યુદ્ધની તૈયારી કરીને જરૂર પડે ત્યારે ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેવું પડશે.