દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થતાં પહેલાં ભારતીય ટીમને મોટી રાહત મળી છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ભારતીય ટીમને કોરોનાના કડક પ્રોટોકોલમાંથી પસાર થવાની જરૂર નથી. ભારતીય ટીમ આ પ્રવાસ માટે મુંબઈથી 16 ડિસેમ્બરે ઉડાન ભરશે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થતાં પહેલાં ભારતીય ટીમને મળી રાહત
ભારતીય ટીમે કોરોનાના કડક પ્રોટોકોલમાંથી પસાર થવાની જરૂર નથી
ભારતીય ટીમે બસ એક દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે
દક્ષિણ આફ્રિકામાં દરેક ખેલાડીઓના ત્રણ કોવિડ-19 ટેસ્ટ કરાશે
દક્ષિણ આફ્રિકાએ કહ્યું છે કે ભારતીય ટીમે બસ એક દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. જ્યાં દરેક ખેલાડીઓના ત્રણ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે. જો દરેકના રિપોર્ટ નેગેટીવ આવે છે તો તેમને આઈસોલેશનમાંથી બહાર આવવાની મંજૂરી મળી જશે. ઉલ્લેખનીય છે કે, આખી ભારતીય ટીમ અત્યારે મુંબઈમાં ત્રણ દિવસ માટે ક્વોરોન્ટાઈન પીરિયડથી પસાર થઇ રહી છે.
બંને ટીમોના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાશે
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ ચાર્ટડ ફ્લાઈટ દ્વારા દક્ષિણ આફ્રિકા જશે અને ત્યાં પહોંચ્યાં બાદ બાયો બબલમાં સામેલ થઇ જશે. આ દરમ્યાન બંને ટીમોના ખેલાડીઓનો કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, ભારતીય ટીમ જે હોટલમાં ઉતારો લેશે ત્યાંના સ્ટાફનો પણ દરરોજ કોરોના ટેસ્ટ કરાશે. બંને ટીમોની વચ્ચે પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીથી થશે. જેની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચ્યુરિયનમાં શરૂ થશે. આ પ્રથમ પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થવાનો હતો. પરંતુ બાદમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો.
ખેલાડીઓની સાથે પરિવારનો કોઈ સભ્ય હાજર નહીં રહે
સાઉથ આફ્રિકા ક્રિકેટના પ્રવક્તાએ જણાવ્યું, ભારતીય ટીમના ખેલાડી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ સીધા ક્વોરોન્ટાઈનમાં સામેલ થઇ જશે અને ટેસ્ટના પરિણામ આવતા તેમને ક્વોરોન્ટાઈનમાંથી રિલીઝ કરી દેવામાં આવશે. કોરોના ટેસ્ટના પરિણામ આવવામાં એક દિવસથી વધુનો સમય થશે. જેના માટે ભારતીય ખેલાડીઓની સાથે તેમના પરિવારનો એક પણ સભ્ય રહેશે નહીં. જો બધુ યોગ્ય રહ્યું તો ભારતીય ટીમ 19 ડિસેમ્બરથી પ્રેક્ટીસ શરૂ કરશે.