ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ પૂરી કર્યાનાં એક જ અઠવાડિયામાં ન્યુઝીલેન્ડમાં રમવા માટે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ રવાના થઇ ગઈ છે. ભારત પાંચ T 20 સીરીઝની પહેલી મેચ શુક્રવારે રમશે. નોંધનીય છે કે પાંચ દિવસ પહેલાં જ ભારત-ઓસ્ટ્રેલિયાની વન ડે સીરીઝ પૂરી થઇ છે.
યાત્રા બાદ તુરત જ રમવું મુશ્કેલ હોવાની વાત કહી
એક દેશમાંથી બીજા દેશનાં ટાઈમ ઝોનમાં એડજસ્ટ થવું મુશ્કેલ : કોહલી
કોહલીએ પહેલી T 20 મેચ પહેલાં કહ્યું કે હવે તે સમય આવી રહ્યો છે કે ખેલાડીએ સીધા સ્ટેડીયમમાં લેન્ડીંગ કરીને રમવાનું શરુ કરી દેવું પડશે. કાર્યક્રમ એટલો વ્યસ્ત થઇ જાય છે પરંતુ બીજા ટાઈમ ઝોન ધરાવતાં દેશમાં જઈને તુરંત જ તે વાતાવરણથી ટેવાઈ જવું સરળ નથી હોતું. તેમણે વધુમાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે. વિરાટે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એવું જ છે જ્યાં સતત રમતા જ રહેવું પડે છે.
કોહલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગઈ વન ડે સીરીઝમાં અમે લાંબો સમય સુધી મેદાન પર રહ્યા. તે પહેલાં અમે અમુક T20 મેચ રમ્યા. પાછલી ત્રણ મેચ T20 ન હતી તેથી અહિયાં રમવું થોડું સહેલું રહેશે. તેમણે વધુમાં કહ્યું કે ન્યુઝીલેન્ડમાં ક્રિકેટરોને બીજા દેશોની જેમ માથા પર ચડાવીને રાખવામાં આવતા નથી જેથી આરામથી રમી શકાય છે.
ન્યુઝીલેન્ડ પ્રવાસ પર વાત કરતા વિરાટે જણાવ્યું કે 'ન્યુઝીલેન્ડ પ્રવાસમાં રાહત રહે છે. આ પ્રવાસમાં અનુભવ મળી શકે છે કે ક્રિકેટની પરિસ્થિતિ શું છે. આ દેશમાં ક્રિકેટને એક કામનાં રૂપમાં લેવામાં આવે છે. તેને વધુ મહત્વ આપવામાં આવતું નથી. તે કીવી સંસ્કૃતિનો એક હિસ્સો છે અને એક રમત જ છે.' મેચ વિશે જણાવતાં વિરાટ કોહલીએ કહ્યું કે કીવી ટીમ પણ જીતનાં ઈરાદા સાથે જ મેદાન પર ઉતરે છે. બધું સંતુલિત રહે છે અને આ દેશમાં રમવું ખુબ ગમે છે. કીવી ખેલાડી ખુબ શાંત અને ધૈર્ય સાથે રમે છે.