આવતા ક્વાર્ટરમાં ફુગાવાનો દર વધવાની ચિંતા આખા દેશમાં વ્યાપી ગઈ છે એવા સમયે ગુરુવારે RBIના ગવર્નર શક્તિકાંત દાસે નોંધ્યું હતું કે ટેલિકોમ કંપનીઓના હાલમાં વધેલા ટેરિફના ભાવોના પગલે દેશમાં ફુગાવાના દરો હજુ વધવાની સંભાવના છે.
આગામી વર્ષના બીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 3.8% જેટલો આવવાની સંભાવના : RBI ગવર્નર શક્તિકાંત દાસ
RBIએ આશ્ચર્યજનક રીતે તેનો રેપો રેટ (5.15%) ઘટાડ્યો નથી જે ફુગાવાને હજી વધારી શકે છે
મીડિયાને સંબોધતા શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ફુગાવાનો દર 4%થી અંદર રહેશે તેવી સંભાવના છે. જો કે દેશમાં હાલમાં ચાલી રહેલી આર્થિક પરિસ્થિતિઓનું પ્રભુત્વ ફુગાવા પર જોવા મળશે. જેમ કે હાલમાં તમામ ટેલિકોમ કંપનીઓ વડે થયેલા ટેરિફ ભાવોના વધારાની અવળી અસર ફુગાવા પર આવશે. બીજા ક્વાર્ટરમાં ફુગાવો 3.8% જેટલો રહેવાની સંભાવના છે.
દાસના મતે હાલ ફુગાવો ઝડપથી વધ્યો છે જેના માટે મુખ્યત્વે ખાદ્ય વસ્તુઓનો ફુગાવો જવાબદાર છે. સરકારની ગણતરી મુજબ ચોથા ક્વાર્ટરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ખૂબ વધુ રહેવાની સંભાવના છે અને તેનું નિયંત્રણ કરવા માટે અનેક પરિબળો જવાબદાર હશે.
નોંધનીય છે કે વોડાફોન આઈડિયા, એરટેલ અને Jio એમ ત્રણેય ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્રિ પેઈડ ટેરિફ પ્લાન્સમાં 40% થી 50%નો વધારો ઝીંક્યો છે.
આ વધારો કંપનીઓએ સુપ્રીમ કોર્ટનો adjusted gross revenueનો ચુકાદો તેમની વિરુદ્ધમાં આવતા સર્જાયેલા આર્થિક તણાવના પગલે કર્યો છે. વોડાફોન આઈડિયા અને એરટેલના વધેલા ભાવ મંગળવારથી અને Jioના ભાવ શુક્રવારથી અમલમાં આવી ગયા છે.