BIG BREAKING /
8 મહાનગરના રાત્રિ કર્ફ્યુની મુદ્દતમાં વધારો, હવે આ તારીખ સુધી લાગુ રહેશે રાત્રિ કર્ફ્યુ
Team VTV08:18 PM, 26 Aug 21
| Updated: 08:22 PM, 26 Aug 21
તહેવારોમાં કોરોના વકરે નહીં તે માટે લેવાયો નિર્ણય, જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં મળેલી છૂટછાટ યથાવત
8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યની મુદ્દતમાં વધારો
28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયું
રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ પડશે નિયમ
તહેવારોમાં કોરોના કેસ વકરે નહીં તે માટે લેવાયો નિર્ણય
ગુજરાતના 8 મહાનગરના વિસ્તારોમાં સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. આવતા તહેવારો જોઈ સરકારે આ નિર્ણય કર્યો હોવાની માહિતી મળી રહી છે. વધુ પડતી ભીડ ન થાય તે માટે અને કોરોના નિયમની જાળવણી થાય તે હેતુસર અગાઉથી ચાલતા આવી રહેલઆ સમય મુજબ 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુની મુદ્દતમાં વધારો કરી દેવાયો છે. જેથી હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ પાલન કરવું મહાનગરોમાં યથાવત રહેશે.
જન્માષ્ટમી માટે પહેલાથી સરકાર આપી ચૂકી છે છૂટ
જન્માષ્ટમી તા.30/8/2021 સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. આ સાથે જ મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ.
ગણેશ વિસર્જન માટે સરકારી ગાઈડલાઈન
રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.9 મી સપ્ટેમ્બરથી તા.19 મી સપ્ટેમ્બર દરમ્યાન તમામ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ રાત્રે 12 વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.
કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન
સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ.