વિન્ડીઝ સામે ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધા બાદ ટીમ ઇન્ડિયા નવી પરીક્ષા માટે ચેન્નઈ પહોંચી ગઈ છે. કોહલી એન્ડ કંપનીએ હવે વિન્ડીઝ સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમવાની છે, જેની પ્રથમ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આગામી રવિવારે રમાશે. શ્રેણીની ત્યારબાદની બંને વન ડે 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં અને 22 ડિસેમ્બરે કટકમાં રમાશે.
ટીમ ઇન્ડિયા નવી પરીક્ષા માટે પહોંચી ચેન્નઈ
પ્રથમ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે
કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર શેર કરી એક તસવીર
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેની સાથે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા પણ નજરે પડી રહ્યા છે. આ તસવીર સાથે કોહલીએ લખ્યું છે, ''ચેન્નઈ પહોંચી ગયા.'' ટી-20 શ્રેણીમાં જીતથી ભારતીય ટીમનું મનોબળ મજબૂત બન્યું છે. ભારતીય ટીમાં છેલ્લી વન ડે શ્રેણી ઓગસ્ટમાં રમી હતી તે વિન્ડીઝ સામે જ રમી હતી. એ શ્રેણી ભારતે 2-0થી જીતી લીધી હતી.
ટીમ ઇન્ડિયાને પોતાની છેલ્લી ઘરેલુ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ફરી એક વાર જીતનો સિલસિલો શરૂ કરવાના ઇરાદાથી મેદાનમાં ઊતરશે. જ્યાં સુધી ભારતીય ટીમની વાત છે તો વન ડે ટીમમાં મયંક અગ્રવાલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ સામેલ રહેશે, જેઓ ટી-20 ટીમનો હિસ્સો નહોતા. જ્યારે ટી-20 ટીમમાં સામેલ થયેલા સંજુ સેમસન, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદરનો વન ડે ટીમમાં સમાવેશ કરાયો નથી.
વિન્ડીઝ ટીમનું નેતૃત્વ કિરોન પોલાર્ડ જ સંભાળી રહ્યો છે, જે ટી-20 શ્રેણીમાં પણ વિન્ડીઝનો કેપ્ટન હતો. વિન્ડીઝે પોતાની છેલ્લી વન ડે શ્રેણી ભારતની ધરતી પર અફઘાનિસ્તાન સામે રમી હતી. એ શ્રેણી વિન્ડીઝે 3-0થી જીતી લીધી હતી, પરંતુ અફઘાનિસ્તાન સામે રમવા અને ભારત સામે રમવામાં ઘણું અંતર હોય છે એ વાત કેરેબિયન ટીમ ઘણી સારી રીતે જાણે છે. વિન્ડીઝની વન ડે ટીમમાં સુનીલ અમ્બરીશ, શાઈ હોપ, રોસ્ટન ચેઝ, અલ્જારી જોસેફ અને રોમારિયે શેફર્ડ સામેલ રહેશે, જેઓ ટી-20 શ્રેણીનો હિસ્સો નહોતા. ફેબિયન એલન, દિનેશ રામદીન, શેરફેન રુદરફોર્ડ, લેન્ડલ સિમન્સ, કેસરિક વિલિયમ્સને વન ડે શ્રેણીમાં સામેલ કરાયા નથી.