ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. દિવસેને દિવસે રાજકારણ માહોલ ગરમાતો જાય છે. એવામાં વડોદરામાં ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચી લે તે માટે તેઓને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
વડોદરામાં AAP પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ
શહેર-જિલ્લાના 6 ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
ફોર્મ પરત ખેંચવા કોઈ દબાણ ના થાય તે માટે લઈ જવાયા
રિસોર્ટ પોલિટિક્સ અને બળવામાં ગુજરાતનું નામ હંમેશાં મોખરે રહ્યું છે. અગાઉ ધારાસભ્યોને સલામત રાખવા માટે હોટલ કે રિસોર્ટમાં લઈ જવાતા હતા. તો આ વખતે પ્રથમ વખત કોઈ પાર્ટી પોતાના ઉમેદવારો ફોર્મ પરત ન ખેચે એટલા માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.
દબાણમાં આવી ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તે માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ
સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા આમ આદમી પાર્ટીને સીટ ગુમાવવી પડી હતી. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી પોતે સતર્ક થઈ ગઈ છે. વડોદરા શહેર જિલ્લાના 6થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની 21 તારીખ છે. તેથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે પાર્ટી વડોદરા શહેર-જિલ્લાના 6થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.
AAPના કંચન જરીવાલાએ પરત ખેંચ્યું હતું ફોર્મ
સુરતના AAPના કંચન જરીવાલાની ઉમેદવારી પરત ખેંચવાનો મામલો સામે આવ્યો હતો. તેઓએ ભાજપ કે અન્ય કોઈના દબાણમાં આવીને રાજીનામું આપ્યું નથી તેવું જાણાવ્યું હતું.ફોર્મ પરત ખેંચનારા કંચન જરીવાલાએ VTVની વાત ચીતમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ પણ દબાણ વગર ફોર્મ પાછું ખેચ્યું છે.
કંચન જરીવાલાનું નિવેદન
સુરતના AAPના કંચન જરીવાલાની ઉમેદવારી પરત ખેંચવાના મુદ્દે કંચન જરીવાલાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ કે અન્ય કોઈના દબાણમાં આવીને મેં ફોર્મ ખેંચ્યું હોવાની વાત ખોટી છે. તેમણે કહ્યું કે, મે કોઇના દબાણમાં આવી ફોર્મ પરત નથી ખેંચ્યુ નથી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનું મારા વિસ્તારનું સંગઠન જ મારી વિરોધમાં હતું. તેમણે કહ્યું કે, મારા સમાજના લોકો અને અન્ય લોકો આમ આદમી પાર્ટીને રાષ્ટ્રવિરોધી પાર્ટી ગણતા હતા. તેમણે કહ્યું કે, મારી ઉમેદવારી જાહેર થઈ ત્યારબાદ મારા વિસ્તારના કેટલાક AAPના લોકોએ રાજીનામાં આપ્યા હતા અને AAPના નેતાઓને મારી ઉમેદવારી નહીં કરવા અને બીજા ઉમેદવારને જાહેર કરવા જણાવ્યું હતું.
AAPએ ભાજપ પર લગાવ્યો હતો ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'સુરત પૂર્વના AAP ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપના માણસોએ અપહરણ કરી લીધું છે. AAP ઉમેદવાર ગઈકાલ (મંગળવાર) સવારથી જ ભાજપની કસ્ટડીમાં છે. ભાજપ એટલું ગભરાઇ ગયું છે કે તેઓએ AAP ઉમેદવારનું અપહરણ કરી લીધું છે. આ લોકશાહીની હત્યા છે.' રાઘવ ચઢ્ઢાનો એવો આરોપ છે કે, ભાજપે તેમના ઉમેદવાર અને પરિવાર પર નામાંકન રદ કરવા દબાણ કર્યું હતું. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, 'આવતીકાલે ઉમેદવારી નોંધવાની અંતિમ તારીખ છે આથી આવું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે તેઓએ ભાજપની વાત ન માની ત્યારે તેમના ગુંડાઓ કંચન જરીવાલાનું અપહરણ કરીને તેઓને RO ઓફિસમાં લઈ ગયા હતા. ઉમેદવારી પત્રને નામંજૂર કરવા માટે કોઈ કારણ ન હોવાથી તેઓ સુરત પૂર્વના ઉમેદવારને કોઇ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. કંચન જરીવાલાનો ફોન પણ ગઈકાલે બપોરથી બંધ છે અને કોઈને તેમનું લોકેશન પણ ખબર નથી.'