PM મોદી દ્વારા આજે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટી જાહેરાત કેન્દ્ર દ્વારા મફત રસીકરણ કરવામાં આવશે તે કરાઈ હતી.
રાષ્ટ્રજોગ પ્રવચનમાં તમામ માટે ફ્રી વેક્સિનની પીએમની જાહેરાત
વેક્સિન તો પહેલેથી ફ્રી માં મળી રહી છે
તો પછી પીએમની જાહેરાતનો શું અર્થ, લોકોમાં ચર્ચા
PM મોદીએ આજે જાહેરાત કરતા કહ્યું હતું કે 21 જૂનથી દેશમાં હવેથી કેન્દ્ર તમામ રસીકરણની કામગીરી સંભાળશે જે અગાઉ રાજ્યો કરતા હતા. એટલે કે હવેથી 18થી વધુની ઉંમરના તમામ લોકોને મફતમાં રસી અપાશે.
કેન્દ્રએ કોરોના રસીકરણની કામગીરીમાં 25 ટકા રસીનો જથ્થો રાજ્ય સરકારોને જાતે ખરીદવાનો અને મેનેજ કરવાની છૂટ આપી હતી. આ મામલે PM મોદીએ કહ્યું હતું કે પહેલા એવા સવાલ ઊઠ્યા હતાં કે રસીકરણમાં માત્ર કેન્દ્ર જ કેમ બધું નક્કી કરશે. જેથી અમુક સત્તા રાજ્યોને પણ આપવામાં આવી હતી. જો કે ત્યાર બાદ રસી ખરીદવા માટે રાજ્યોને થતાં ખર્ચ મુદ્દે પણ સવાલ ઉઠવા લાગ્યા હતાં. જેના પગલે હવેથી રસીકરણની તમામ જવાબદારી અને ખર્ચ કેન્દ્ર ઉઠાવશે અને માત્ર રાજ્યોએ વિતરણ વ્યવસ્થા જોવાની રહેશે.
આ રીતે વૅક્સિનની ખરીદી થતી હતી
અગાઉ વૅક્સિનના કુલ ઉત્પાદનનો 25 ટકા જથ્થો રાજ્ય સરકાર અને 25 ટકા પ્રાઈવેટ હોસ્પિટલો ખરીદી શકતી હતી. જ્યારે 50 ટકા કેન્દ્ર સરકાર ખરીદી શકતી હતી. જેમાંથી હવેથી રાજ્ય સરકારનો 25 ટકા ભાગ પણ કેન્દ્ર એટલે કે કુલ 75 ટકા ખરીદી હવે કેન્દ્ર કરશે. જ્યારે 25 ટકા જથ્થો પ્રાઈવેટ હોસ્પિટલ પોતાની રીતે ખરીદી શકશે.
આવામાં સવાલ એ થાય છે કે અગાઉ પણ નાગરિકોને સરકાર દ્વારા અપાતી વૅક્સિન મફતમાં જ મળતી હતી તો પછી PM મોદીએ મફતમાં આપવાની જાહેરાતનો અર્થ શું છે? આ જાહેરાતનો અર્થ સમજીએ તો, હવેથી કેન્દ્ર જ તમામ વૅક્સિન ખરીદશે અને રાજ્યોને જરૂરિયાત મુજબ વિતરણ કરશે. એટલે કે હવે રાજ્યો પોતાની પ્રજાને વૅક્સિન આપવા માટે જાતે ખરીદી કરતી હતી અને મફતમાં વૅક્સિન આપતી હતી. એટલે હવે કેન્દ્રની આ જાહેરાત બાદ રાજ્યોએ રસીની ખરીદી કરવા માટે ખર્ચ નહીં કરવો પડે અને તે ખર્ચ કેન્દ્ર ભોગવશે. અગાઉ 45થી વધુની ઉંમરના લોકોની રસી રાજ્યોને પણ મફતમાં મળતી હતી. પરંતુ 18થી 44ની વયના લોકોની રસી ખરીદવા માટે રાજ્યોએ ખર્ચ કરવો પડતો હતો.
ગુજરાતને આર્થિક બોજામાંથી રાહત
એટલે જો ગુજરાતની વાત કરીએ તો 18-44 વયના નાગરિકો જે આશરે 3.5 કરોડ છે તેમના રસીકરણ માટે રાજ્ય સરકારે ખર્ચ ભોગવવો પડતો હતો જે હવે કેન્દ્ર ભોગવશે. રાજ્યમાં કેટલી રસીની જરૂર છે અને કેટલી મોકલાશે તે પણ હવે કેન્દ્ર નક્કી કરશે. આ મુદ્દે Dy.CM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
પ્રાઈવેટ હોસ્પિટલ રૂ.150થી વધારે સર્વિસ ચાર્જ નહીં લઈ શકે
જો કે રાજ્યમાં પ્રાઈવેટ હોસ્પિટલો ડાયરેક્ટ વૅક્સિન કંપની સાથે વાતચીત કરીને 25 ટકા જથ્થાની ખરીદી કરી શકશે. આ માટેની કિંમતો કેન્દ્ર સરકાર નક્કી કરશે. જો કે વૅક્સિનની કિંમત ઉપરાંત રૂ.150થી વધારે સર્વિસ ચાર્જ કોઈ પણ પ્રાઈવેટ હોસ્પિટલ નહીં લઈ શકે તેની PM મોદીએ જાહેરાત કરી છે.