મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ ભક્તોને આવકારવા આતુર છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે અંગેની તડામાર તૈયારી
સોમનાથમાં શિવરાત્રીની તડામાર તૈયારી
મગળવારે સવારે 4 વાગ્યે ખુલશે દર્શન
મંદિર તરફ જતો મુખ્ય રસ્તો એક માર્ગીય
વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેર હવે ઓસરવામાં છે ત્યારે સરકારે કોવિડની ગાઈડલાઈનમાં ફેરફાર કરી હળવાશ પણ મૂકી છે. આથી ગુજરાતની જનતા ઉત્સવો,પર્વો અને પ્રસંગો સારી રીતે માણી રહ્યા છે. મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ ભક્તોને આવકારવા આતુર છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે અંગેની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર છે. ભાવિકોએ ત્યાંથી મંદિર સુધી આવવાનું રહેશે. આ માટે ટ્રસ્ટ દ્વારા બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.વયસ્ક નાગરિકો અને દિવ્યાંગો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિર તરફ જતો મુખ્ય રસ્તો એક માર્ગીય કરવામાં આવ્યો છે. શિવરાત્રીને દિવસે પહેલી માર્ચે સવારે 4.00 કલાકે મંદિરનાં કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. કોવિડ ગાઈડલાઈનનું ભક્તોઓ ચોક્કસપણે પાલન કરવાનું રહેશે.
જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પરંપરાગત શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મહાશિવરાત્રી પર્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે. અહીં આવનાર ભક્તોને રહેવાની તથા જમવા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. સેવાભાવિકો દ્વારા અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો મનભરીને પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે.શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સવારે ચા-નાસ્તો અને આખો દિવસ શુધ્ધ ઘીની મીઠાઇઓ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, છાશ વગેરેનો પ્રસાદ આપવામાં આવે છે. આમ જૂનાગઢમાં ભોજન અને ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
કોરોનાના કેસ ઓછા થતા જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે જ મહાશિવરાત્રીના મેળાનો ભવ્યશુભારંભ કરવામાં આવ્યો હતો.ભવનાથ મંદિર ખાતે ધજાનું પૂજન અર્ચન તથા મહાદેવની પૂજા સાથે વિધિવત ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમજ ભવનાથ મંદિર સાથોસાથ તળેટી ખાતે આવેલ વિવિધ અખાડાઓમાં તથા ભારતી આશ્રમ, ઇન્દ્રભારતી બાપુ આશ્રમ, તથા વિવિધ મંદિરો પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી આ તકે જય ગિરનારી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો.