ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સ્ટાફ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. 120 જેટલા કર્મચારીઓને છુટા કરાયા બાદ વિદ્યાપીઠ દ્વારા સ્ટાફ ક્વાર્ટર ખાલી કરાવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સ્ટાફ સાથે ઓરમાયું વર્તન
120 જેટલા સ્ટાફ કવાટર ખાલી કરવાયા
બીજા નાં ઘર માં જઈને નાહી રહ્યા છીએ - ભરત ભાઈના પત્ની
ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 20-25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા એકાએક છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ગૂજરાત વિદ્યાપીઠમાં છુટા કરાયેલ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. નવા મેનેજમેન્ટ દ્વારા વર્ગ-4 ના 120 કરતા વધુ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગાંધીજીનાં સૂત્રોચ્ચાર કરી છુટા કરેલ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું કે હવે નોકરી ક્યાં કરવા જવું અને કોણ રાખશે તે ચિંતાનો વિષય છે. તેમજ નાના બાળકોને ક્યાં ભણાવવા, ક્યાં રહેવા જવું તે ચિંતાનો વિષય છે.
કર્મચારીઓને છુટા કરાયા બાદ સ્ટાફ ક્વાર્ટર ખાલી કરાવાયા
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સ્ટાફ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. 120 જેટલા સ્ટાફ ક્વાર્ટર ખાલી કરાવાયા છે. ત્યારે ક્વાર્ટર ખાલી કરાવતા 30 વર્ષથી ફરજ બજાવતા ભરતભાઈ ક્વાર્ટરની બહાર સામાન લઈને બેઠા છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે સામાન લઈ જવાનાં પણ પૈસા નથી ત્યાં ભાડે મકાન કેવી રીતે રાખીએ. ભાડાનાં મકાન માટે પણ ડિપોઝીટ આપવી પડે જે ડિપોઝીટ પણ આપી શકીએ તેમ નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારે રિટાયર્ડ થવામાં 6 વર્ષ બાકી છે. ત્યારે એટલો સમય રહેવા માટે આપવામાં આવે તેવી વિનંતી કરી હતી. ત્યારે વરસાદમાં સામાન પલળશે તો નુકશાન જશે. ભરતભાઈની પત્નિએ જણાવ્યું હતું કે બીજાનાં ઘરમાં જઈને નાહી રહ્યા છીએ. તેમજ ચૂલા પર જમવાનું બનાવીએ છીએ.
સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓને કરાયા છુટા
પ્રાથમિક વિગત મુજબ ગૂજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરવાનો નિર્ણય વહીવટતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો આ કઠોર નિર્ણય વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠમાંથી કર્મચારીને છૂટા કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે તેઓ ટ્રસ્ટીઓની બેઠકમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.