ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ પછી બ્રેક પર છે.ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને જ્યારે ધોનીને લઇને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે, ''ધોની પોતે જ નિર્ણય કરશે.''
વર્લ્ડકપ ખત્મ થયા પછી ધોનીને નથી મળ્યો: રવિ શાસ્ત્રી
ધોનીની ગણતરી દેશના મહાન ખેલાડીઓમાં થશે: રવિ શાસ્ત્રી
ટીમ ઇન્ડિયામાં ક્યારે પરત ફરશે તે અંગેનો નિર્ણય ધોની પોતે જ કરશે: રવિ શાસ્ત્રી
ધોનીએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા હારી ગઇ અને મિશન વર્લ્ડકપ ત્યાં જ સમાપ્ત થયું. જે પછી ધોની ન તો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટીમની સાથે ગયો અને ન તો સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ઘરેલૂ T-20 માં રમ્યો.
એક ઇન્ટરવ્યૂમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે, ''વર્લ્ડ કપ પછી તેઓ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા નથી. જો તે ટીમ ઇન્ડિયામાં કમબેક કરવા ઇચ્છે છે તો તે અંગે નિર્ણય પર તેનો જ રહેશે.''
આ સિવાય ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે, ''ધોનીની ગણતરી આપણા મહાન ખેલાડીઓમાં કરવામાં આવશે અને આ યાદીમાં સૌથી ઉપરના સ્થાન પર ધોની આવશે. જો ધોની ટીમમાં પરત આવવા માંગે છે તો નિર્ણય તેનો જ રહેશે. હું વર્લ્ડકપ પછી ધોનીને મળ્યો નથી. માહીએ પહેલા ફરીથી રમવાનું શરૂ કરવું પડશે પછી જોવાનું રહેશે કે કેવી રીતે બધુ થાય છે.''
38 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન એમ.એસ.ધોની હાલમાં જ મુંબઇમાં આયોજિત એક ચેરિટી ફૂટબૉલ મેચમાં ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે રમતા જોવા મળ્યો હતો. 2019 ના વર્લ્ડ કપ પછી આ ચેમ્પિયન ખેલાડીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.