ગઈ કાલે કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીત સાથે જ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2020માં પોતાની નિરાશાજનક સફરનો અંત આણ્યો.
મેચ બાદ ધોનીએ ફેન્સને એવું કહીને ખુશ કરી દીધા કે આ ચેન્નઈ માટે તેની અંતિમ મેચ નથી. ટોસ જીત્યા બાદ જ્યારે કોમેન્ટેટર ડેની મોરિસન દ્વારા ધોનીને પૂછવામાં આવ્યું કે, ''શું યલો જરસીમાં આ તારી અંતિમ મેચ છે?'' એના જવાબમાં માહીએ જવાબ આપ્યો હતો, ''ચોક્કસપણે નહીં.'' ધોનીના આ જવાબથી આઇપીએલમાં તેની નિવૃત્તિ અંગે સવાલ કરનારાઓને જવાબ મળી ગયો છે.
આ બધા વચ્ચે ICCએ પણ ધોનીના IPLમાંથી નિવૃત્ત ન થવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ICCએ ધોનીની પોસ્ટને કેપ્શનમાં મૂકીને લખ્યું, ''19.29 વાગ્યાથી M S ધોનીને રિટાયર માનવામાં આવે? બિલકુલ નહીં.'' આ સાથે ધોનીની તસવીર પણ શેર કરી છે.
ધોનીના ચાહકો માટે એ ખુશ દેનારા સમાચાર છે કે ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન આગામી વર્ષે પણ IPLમાં રમતો નજરે પડશે. ગઈ કાલે ભારતના આ ભૂતપૂર્વ કેપ્ટને સ્પષ્ટ કરી દીધું હતું કે આ તેની અંતિમ મેચ નથી. ધોનીએ આ સ્ટેટમેન્ટ આપીને પોતાના લાખો ચાહકોને ખુશખુશાલ કરી દીધા.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારો T-20 વિશ્વકપ સ્થગિત થયા બાદ ગત 15 ઓગસ્ટે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
ધોનીએ ટીમ ઇન્ડિયા તરફથી પોતાની અંતિમ મેચ ગત વર્ષે વન ડે વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલના રૂપમાં રમી હતી. ચેન્નઈ માટે IPLમાં આ વર્ષ નિરાશાજનક રહ્યું. ત્રણ વારની ચેમ્પિયન આ ટીમ પહેલી વાર IPLના ઇતિહાસમાં પહેલી વાર પ્લે ઓફમાં પહોંચી શકી નથી.
આગામી વર્ષે IPLનું આયોજન એપ્રિલ-મે માં થવાનું છે, જો કે કોરોનાને કારણે કદાચ આ કાર્યક્રમમાં પણ ફેરફાર થઈ શકે છે.