ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલાં જ બહુચર્ચિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી અંક ગણતરી બહુ જ ગૂંચવણભરી છે અને તેને સમજી ના શકાય તેવી જાહેર કરી હતી.
કોહલીના આ નિવેદન બાદ આઇસીસીના નવા ચેરમેન જ્હોન બાર્કલેએ કહ્યું, ''વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફોર્મેટની સમીક્ષા કરવાની જરૂર છે.'' કોરોના મહામારીને કારણે ઘણી શ્રેણી અને મેચ પૂરી રમાઈ શકી નથી. આ સ્થિતિને જોતાં આઇસીસીએ તાજેતરમાં ઓવરઓલ પોઇન્ટના બદલે નવી પોઇન્ટ પદ્ધતિ લાગુ કરી છે.
"શું આ ચેમ્પિયનશીપ સફળ ટુર્નામેન્ટ કહેવાય કે નહીં તે હું નથી જાણતો"
જ્હોન બાર્કલેએ જણાવ્યું, ''કેટલાક મુદ્દા અમને પહેલાંથી જ કેલેન્ડરની આસપાસ મળી ચૂક્યા છે. મને આશ્ચર્ય છે કે શું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ટેસ્ટ ક્રિકેટમાં રુચિ પાછી લાવવા માટે શરૂ કરવામાં આવી હતી? જો કે એ મારો પોતાનો વિચાર છે કે એક વાર જ્યારે આ ચેમ્પિયનશિપ પૂરી થઈ જાય પછીથી ડ્રોઇંગ બોર્ડમાં જવાની જરૂર છે અને તેના ફોર્મેટની સમીક્ષા કરવાની જરૂર છે.''
આઇસીસીના નવા નિમાયેલા અધ્યક્ષ બાર્કલેએ વધુમાં કહ્યું, ''આદર્શ દષ્ટિકોણથી જોવામાં આવે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઘણી વધુ મહત્ત્વની છે, પરંતુ વાસ્તવિકતામાં હું તેની સાથે સંમત નથી. હું નિશ્ચિત નથી કે આ ચેમ્પિયનશિપને જે લક્ષ્ય સાથે શરૂ કરાઈ હતી એ લક્ષ્ય તેણે પ્રાપ્ત કરી લીધું છે કે નહીં. એ મારો અંગત વિચાર છે કે કોરોના મહામારી વચ્ચે અમે જે કંઈ કરી શકતા હતા તે પોઇન્ટને વહેંચીને કરી શકતા હતા. એક વાર આવું કરવા માટે આપણે ફરીથી ચર્ચા કરવી જોઈએ, કારણ હું નિશ્ચિત નથી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપે પોતાનો ઉદ્દેશ હાંસલ કર્યાે છે.''
બાર્કલેનાં નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે પ્રથમ વાર રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છેલ્લી બની રહેશે. આ ચેમ્પિયનશિપ એક વાર પૂરી થઈ ગયા બાદ આઇસીસી કદાચ તેને પડતી જ મૂકી દેશે.
કોહલીએ ચેમ્પિયનશિપની પોઇન્ટ પદ્ધતિમાં ફેરફાર કરવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ ચેમ્પિયનશિપની પોઇન્ટ પદ્ધતિ અચાનક ફેરફાર કરવાના આઇસીસીના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો હતો. કોહલીએ જણાવ્યું હતું, ''નિશ્ચિત રીતે આ આશ્ચર્યજનક છે, કારણ કે અમે જણાવવામાં આવ્યું હતું કે ચેમ્પિયનશિપમાં ટોચની બે ટીમ પોઇન્ટના આધારે ફાઇનલમાં રમશે. હવે અચાનક આ દશાંશ પોઇન્ટના આધાર પર ગણતરી અમલમાં મુકાઈ. આ ગૂંચવણભરી, ભ્રમિત કરનારી અને સમજવી મુશ્કેલ ગણતરી છે. જો પ્રથમ દિવસથી જ અમે આ બધી ચીજો અંગે જણાવવામાં આવ્યું હોત તો તેને સમજવું આસાન થઈ જાત, પરંતુ અચાનક જ ફેરફાર કરી દેવામાં આવ્યો. મને લાગે છે કે આને સમજવા માટે આઇસીસીને સવાલ પૂછવાની જરૂર છે કે આવો ફેરફાર શા માટે કરવામાં આવ્યો અને તેની પાછળનું કારણ શું છે?''