થોડા મહિનાઓ પહેલા રાજસ્થાન હાઈકોર્ટે એક કેદીને પેરોલની મંજૂરી એ આધાર પર આપી હતી કે તેની પત્ની માતા બનવા માંગે છે અને દોષિત પતિને વૈવાહિક સંબંધ સ્થાપિત કરવા માટે મુક્ત કરવાની જરૂર છે.
રાજસ્થાનમાં કેદીની પત્નીને માં બનવું હોઇ કેદીને પેરોલ પર છોડ્યો
કોર્ટે કહ્યું, પતિની સજાને કારણે પત્નીની જાતીય-ભાવનાત્મક જરૂરિયાતો પ્રભાવિત થઈ
હવે આવી અરજીઓનો ઢગલો, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં
રાજસ્થાન હાઈકોર્ટે તાજેતરના એક કેદીને પેરોલની મંજૂરી એ આધાર પર આપી હતી કે, તેની પત્ની માતા બનવા માંગે છે અને દોષિત પતિને વૈવાહિક સંબંધ સ્થાપિત કરવા માટે મુક્ત કરવાની જરૂર છે. જોકે હાઇકોર્ટે તે કેદીને પેરોલની મંજૂરી આપ્યા બાદ હવે અન્ય કેદીઓની પત્નીઓ પણ પેરોલની માંગ કરી રહી છે. કેદીને પેરોલ અપાયા બાદ પત્નીઓ સંતાનો માટે પતિના પેરોલની માંગણી કરતી અરજીઓનું પૂર આવ્યું છે.
સુપ્રિમ કોર્ટ રાજસ્થાન હાઈકોર્ટના પેરોલના આદેશ સામે સુનાવણી કરવા સંમત થઈ છે. થોડા મહિનાઓ પહેલા હાઈકોર્ટે એક કેદીને પેરોલની મંજૂરી એ આધાર પર આપી હતી કે, તેની પત્ની માતા બનવા માંગે છે અને દોષિત પતિને વૈવાહિક સંબંધ સ્થાપિત કરવા માટે મુક્ત કરવાની જરૂર છે. પત્નીએ પતિની મુક્તિ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમ્યાન રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેંચે કેદીને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પત્ની માતા બની શકે તે માટે કોર્ટે મુક્તિનો આદેશ આપ્યો હતો.
પતિને પેરોલ પર છોડવાની અરજીઓનું પૂર આવ્યું
આ તરફ હવે પતિ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે તેવા કેદીને પેરોલ અપાયા બાદ અન્ય કેદીઓની પત્નીઓ સંતાનો માટે પતિના પેરોલની માંગણી કરતી અરજીઓનું પૂર આવ્યું છે.
રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં વકીલે શુ કહ્યું ?
હાઈકોર્ટના પેરોલ મંજૂર કરવાના આદેશ અંગે રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આ આદેશને કારણે આવી અનેક અરજીઓ દાખલ થઈ છે. અન્ય કેદીઓની પત્નીઓ પણ પેરોલની માંગ કરી રહી છે. એટલું જ નહીં ઘણા ગુનેગારો પેરોલ માટે અરજી કરી રહ્યા છે. વકીલે કહ્યું કે આ આધાર પર પેરોલ આપવી માન્ય નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી કરશે.
શુ કહ્યું હતું રાજસ્થાન હાઇકોર્ટે ?
રાજસ્થાન કોર્ટે કેદીને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પતિની સજાને કારણે પત્નીની જાતીય અને ભાવનાત્મક જરૂરિયાતો પ્રભાવિત થઈ છે. કોર્ટે ઋગ્વેદ સહિત અનેક હિંદુ ધર્મગ્રંથોનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કેદીને 15 દિવસ માટે પેરોલ આપવા માટે યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામના સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે 16 આવશ્યક સંસ્કારોમાંથી એક 'બાળક ઉત્પન્ન કરવું' છે. આ સ્ત્રીનો પ્રથમ અધિકાર છે.
કોર્ટે કહ્યું હતું કે રાજસ્થાન પેરોલ નિયમો, 2021 હેઠળ બાળકને જન્મ આપવા માટે કેદીને પેરોલ પર છોડવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેદીને લગ્ન જીવન સંબંધિત તેની જાતીય અને ભાવનાત્મક જરૂરિયાતોને સુરક્ષિત રાખવા માટે પત્ની સાથે રહેવાની છૂટ આપી શકે છે.