હૈદરાબાદમાં ફરી એકવાર દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસની ઘટના સામે આવી છે. તેલંગણાના સૂર્યાપેટ જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે 17 વર્ષની સગીરાને પીંખી નાખી અને હત્યાનો પ્રયાસ કર્યો.
હૈદરાબાદમાં ફરી એકવાર દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસની ઘટના સામે આવી છે
તેલંગણાના સૂર્યાપેટ જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મ બાદ જીવતી સળગાવવાનો પ્રયાસ કરાયો
એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે 17 વર્ષની સગીરાને પીંખી નાખી અને હત્યાનો પ્રયાસ કર્યો
આરોપી શુક્રવારે પીડિતાના ઘરે પહોંચ્યો હતો અને બળજબરીપૂર્વક ઝાડીઓમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ સગીરાને જીવતી સળગાવી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સગીરાને સારવાર અર્થે ખસેડી છે. હાલ સગીરા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. પીડિતાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
પોલીસે જાણકારી આપી છે કે સગીરા 50 ટકા સુધી બળી ગઇ છે અને વારંગલની સરકારી હોસ્પિટલમાં તેની સારવાર કરાઇ રહી છે. સગીરાની સ્થિતિ હાલ સ્થિર છે. પોલીસનું કહેવું છે કે લોકોએ 21 વર્ષના આરોપીને સગીરાને હેરાન કરવાથી ઘણી વાર રોક્યો હતો.
પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે આરોપીની વિરુદ્ધ બળાત્કાર, પોક્સો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.