ભગવાન શિવના૧૧મા રુદ્રાવતાર હનુમાનજીનો અવતાર ભગવાન રામની મદદ માટે થયો હતો. હનુમાન જયંતીના શુભ દિવસ પર તેમની પૂજા કરવાથી બધાં પાપોથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.
જ્યોતિષીઓની ગણના મુજબ હનુમનાજીનો જન્મ એક કરોડ ૮૫ લાખ ૫૮ હજાર ૧૧૭વર્ષ પહેલાં ચૈત્ર પૂર્ણિમાના રોજ મંગળવારે થયો હતો. હનુમાનજીની સાધના સરળ છે. હનુમાનજીની પૂજા કરતી વખતે આપણે તન અને મનથી પવિત્ર હોવું જોઈએ. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસામાં એ ચમત્કારી શક્તિ છે જે આપણાં બધાં દુ:ખ હરી લે છે. હનુમાન ચાલીસામાં હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ બતાવી છે.આ માટે બજરંગ બલિને સિંદૂરી કહેવાય છે.
એક વાર હનુમાનજીને માતા સીતાને માગમાં સિંદૂર ભરતાં જોયાં. તેમણે માતા સીતાને આનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ પ્રભુ શ્રીરામને ખુશ રાખવા માટે સિંદૂર લગાવે છે. આ સાંભળીને હનુમાનજીએ સમગ્ર સિંદૂર ખુદ પર ઉડેલી દીધું. જ્યારે શ્રીરામે તેમને આ રીતે જોયા તો હનુમાનજીએ કહ્યું કે પ્રભુ મેં તમારી પ્રસન્નતા માટે આ કર્યું છે.
હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, એટલા માટે આ દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે. શ્રી હનુમાનજીને વીર, પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ માનવામાં આવે છે.હનુમાનજી વિદ્વતા, બુદ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન વગેરે સર્વ ગુણોથી સં૫ન્ન માનવામાં આવે છે.આવા સર્વજ્ઞ હનુમાનજીના ભકતને કોઈ દુઃખ, કષ્ટ, વિપત્તિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનુ અદ્વિતીય યોગદાન હતું. હનુમાનજી સર્વગુણસંપન્ન હોવા છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નથી.
હનુમાનજી હંમેશાં શ્રીરામની ભકિતમાં લીન રહે છે. જયારે ભગવાન રામ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા ત્યારે હનુમાનજી ભગવાન રામને મળ્યા હતા. શ્રીરામે સીતાજીને શોધવાનું મુશ્કિલ કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું ત્યારે તેમણે આ કાર્ય પૂર્ણ કર્યું હતું.શ્રીરામે હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ રાખ્યો હતો. તેથી જ જયારે વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે મુંઝવણમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને જાણીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કર્યો હતો. કારણ કે શ્રીરામ માટે હનુમાનજી માત્ર એક ભકત તરીકે જ નહોતા રામજી જાણતા હતા કે હનુમાનજીમાં માણસને પારખવાની અદભુત શકિત છે. શાસ્ત્રોના મત અનુસાર હનુમાનજીએ સીતાજીને અશોકવાટિકામાં આત્મહત્યા કરતાં અટકાવ્યાં હતાં.હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર યોદ્ધા તરીકે પણ ઓળખાયા.હનુમાનજીમાં કોઇ પણ કાર્ય બુદ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી.
માટે હનુમાનજીએ એકલા રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. હનુમાનજી શ્રીરામનાં કોઈ પણ મહત્વનાં કાર્યો અને મહત્વપૂર્ણ ક્ષણોમાં હંમેશાં સાથે જ રહેતા હતા. ઇન્દ્રજિતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને સંજિવની ઔષધિ લાવીને હનુમાનજીએ જ બચાવેલા.રાવણનો યુદ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા શ્રીરામ હનુમાનજીને જ મોકલેલા હતા, શ્રી હનુમાનજીનાં અદ્દભુત કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્યાએ કહયું છે, મારુતિ તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકું તેમ નથી.હનુમાન શંકરના ૧૧મા અવતાર છે જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળિયુગમાં સાક્ષાત દેવ ગણવામાં આવે છે.