ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં નર્મદા નદીનું પાણી હાલ ભરૂચ શહેરમાં ઘૂસી ગયેલા જોવા મળ્યાં છે. શહેરનું ફુરજા બંદર પાણીમાં ડુબેલુ જોવા મળ્યું છે. નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 32 ફૂટને પાર થઇ.
ભરૂચ શહેરમાં ઘુસ્યા નર્મદા નદીના પૂરના પાણી
ભરૂચમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. અને નદીનું પાણી ભરૂચ શહેરમાં ઘૂસી ગયા છે. ભરૂચનું ફુરજા બંદર પાણીમાં ડૂબી ગયું છે. જ્યારે ચાર રસ્તા વિસ્તારમાં આખા બજારમાં પાણી ભરાઇ ગયા છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 32 ફૂટને પાર પહોંચી ગઇ છે.
નર્મદાનું જળ્સતર વધતા પૂર્વ પટ્ટીના ગામમાં અસર જોવા મળી રહી છે. ઝાડેશ્વરથી શુકલતીર્થ નિકોરા સુધીનો રસ્તો બંધ થયો છે. મુખ્ય માર્ગ પર નર્મદાના પાણી ફરી વળ્યાં છે.
ભરૂચથી અંકલેશ્વર પટ્ટીના ગામો સંપર્ક વિહોણા થયા
નર્મદા નદીએ ભરૂચથી અંકલેશ્વર પટ્ટીના ગામોની ચિંતામાં વધારો કર્યો છે. નર્મદા નદીમાં પાણી વધતા ભરૂચથી અંકલેશ્વર પટ્ટીના ગામો સંપર્ક વિહોણા થયા છે. બોરભાઠા બેટથી સરફુદ્દીન, ખાલપીયા ગામના રોડ પર પાણી ભરાયાં છે. સક્કરપોર ભાઠા, તરિયા, કોયલી તરફનો રસ્તો બંધ હાલતમાં જોવા મળ્યો છે.
નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. દાંડિયા બજાર વિસ્તારમાં ચારે તરફ પાણી-પાણી ભરાયું છે. લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી ભરાયાં છે.
ભરૂચના બોરભાઠા બેટ વિસ્તારમાં પાણી ઘૂસ્યા
ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ભરૂચના બોરભાડા ગામમાં પાણી ફરી વળ્યા છે.. ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.. લોકો ઘરવખરી બચાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને રહેવાના પણ ફાંફા પડ્યા છે. ગામમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.