સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર મચાવતા નદી નાળા ડેમો છલકાયા હતા. આ તરફ બોટાદના રાણપુર નદીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં નવા નીરને લઈને ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાવનગરની બગડ નદી ગાંડી તૂર બની હતી.
જેના કારણે પુરનું પાણી ગામમાં ઘુસી ગયું ગતું. તો બગડેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથમાં હિરણ બે ડેમ ઓવરફ્લો થયો હતો. હાલ ડેમની સપાટી 442 મીટરે પહોંચતા ગીર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળસપાટી વધતા ડેમ ઓવરફ્લો થયો છે.
ઉલ્લેખનીય છે કે આ સાથે ભાવનગરમાં મેઘરાજાની મહેર થતાં નદીઓ ગાંડીતૂર બની હતી. મહુવામાં ભારે વરસાદના પગલે માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી.
માલણ નદીમાં નવા નીર આવ્યા હતા. નદીમાં નવા નીરની આવક થઇ હતી. નદીમાં પૂર આવતા સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અને નદીમાં નવા નીરની આવક થતાં ગ્રામજનો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તો આ તરફ ભાવનગર જિલ્લાના મેથાળાના બંધારામાં ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા હતા અને બંધારો ઓવરફલો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે મેથાળાના લોકોએ પોતાની મહેનતથી બંધારો બનાવ્યો હતો. આજે આ બંધારો ઓવરફલો થતાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે આશા બંધાઈ હતી.
આ સાથે જ તાજતરમાં પ્રાપ્ત થયેલ સમાચાર મુજબ ભાવનગરમાં ભારે વરસાદના કારણે મહુવા નજીકના નિકોલ બંધારામાં ભંગાણ થયું છે. ધોધમાર વરસાદથી બંધારાનો પાળો તૂટયો હતો અને બંધારો તૂટવાના પગલે મહુવા ડિઝાસ્ટરની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી.
આપને જણાવી દઇએ કે ગીર-સોમનાથમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ઉનાનો મચ્છુંદરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. મચ્છુંદરી ડેમ ઓવરફ્લો થતાં મચ્છુદ્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી કિનારે આશરે 17 જેટલા ગામ આવે છે જેને એલર્ટ કરી દેવાયા છે.