હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.'
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
ગઇકાલે અમદાવાદમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગઇકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોદી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અખબારનગર, RTO સર્કલ, જુના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બફારામાંથી રાહત મળી હતી.
અખબનાર નગરથી નવા વાડજ તરફ વૃક્ષ ધરાશાયી, બાઇક ચાલક ફસાયો હતો
શહેરમાં વરસાદને પગલે અખબારનગરથી નવા વાડજ તરફ જવાના રસ્તા પર ઝાડ ધરાશાઈ થયું હતું. અચાનક ઝાડ પડતા એક બાઈક ચાલક ઝાડ નીચે ફસાયો હતો. પોલીસ અને સ્થાનિક દુકાનદારોની મદદથી તેને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે અનેક અરજી કરી હતી પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી.