દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત શનિવારે થઇ ગઇ. સૌપ્રથમ સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, દેશમાં કેટલા લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી. રસીકરણ અભિયાનના પહેલા દિવસ 1.91 લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેક્સિનેશન માટે 3351 સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ વેક્સિનેશન સેન્ટર પર 16755 લોકોની ડ્યૂટી લગાવવામાં આવી. વેક્સિન લગાવ્યા બાદ કોઇને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી.
દેશમાં કોરોના રસીકરણ અભિયાનની આજે શરૂઆત થઇ
પહેલા દિવસે 1.91 લાખ લોકોને રસી આપવામાં આવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
કોઇને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના વેક્સિનેશન પ્રક્રિયાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સેનાના 3,129 હેલ્થકેર વર્કર્સે આજે કોરોના વેક્સિન લગાવી દીધી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ વેક્સિન તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સપ્લાઈ કરવામાં આવી હતી. ભારત બાયોટેકની કોવેક્સિન 12 રાજ્યોને આપવામાં આવી હતી.
સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં 16,755 લોકો સામેલ થયા, દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાનના પહેલા દિવસ 1,91,181 લોકોને રસી આપવામાં આવી. જેમાં ગુજરાતમાં 8557, ઉત્તરપ્રદેશ 15975, આંધ્રપ્રદેશમાં 16963, દિલ્હીમાં 3403, બિહારમાં 16401, મહારાષ્ટ્રમાં 15727, મધ્યપ્રદેશમાં 6739, કર્ણાટકમાં 12637, કેરળમાં 7206 લોકોને રસી આપવામાં આવી હતી.
આજે પહેલા દિવસે કોરોના વેક્સિનેશન અભિયાન સફળ રહ્યું, કોઇને હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર નથી પડી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે રસીકરણ અભિયાનને લઇને આજે સાંજે 6 વાગ્યે સમીક્ષા બેઠક કરી.
ગત એક વર્ષમાં કદાચ આજનો દિવસ સૌથી રાહતનો દિવસઃ ડૉ. હર્ષવર્ધન
સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વિરૂદ્ધ જીતમાં ઝડપ લાવવા માટે આપણા વૈજ્ઞાનિકોએ ડૉક્ટર્સ, રિસર્ચર્સ, વેક્સિન નિર્માતા ઇન્ડસ્ટ્રી અને ટ્રાયલમાં સામેલ લોકોની મદદથી 2 સ્વદેશી વેક્સિન તૈયાર કરવામાં આવી છે. વેક્સિનને દેશની સામે કોરોના વિરૂદ્ધ આપણી સંજીવનીની રીતે રજૂ કરવામાં આવી છે. કોરોના વિરૂદ્ધ લડાઈ જીત તરફ વધી રહી હતી, હવે આ લગભગ નક્કી છે કે જીત તરફ તાત્કાલિક કદમ ઉઠાવી શકાશે.
વધુમાં તેમણે કહ્યું કે, ગત એક વર્ષમાં કદાચ આજનો દિવસ સૌથી રાહતનો દિવસ છે. વેક્સિન, તેની ઉપયોગિતા અને સુરક્ષાને લઇને કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે અને સમાજને ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ મોટી સંખ્યામાં લોકોએ, વરિષ્ઠ ડૉક્ટર્સે વેક્સિન લગાવી છે. આગામી સમયમાં દરેક વેક્સિન સેન્ટર પર રસી લગાવવાની સંખ્યા વધારવામાં આવશે.