બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Hardik Patel will address a press conference in Ahmedabad at 11.00 am
Last Updated: 07:47 AM, 19 May 2022
ADVERTISEMENT
છેલ્લા એક મહિનાથી સતત હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવી ગયો છે. કારણ કે, હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં એન્ટ્રી થવાની ચર્ચાઓ હતી. તેના પરથી આજે પડદો ઉચકાઉ શકે છે.
હાર્દિક આજે મોટું એલાન કરે તેવી શક્યતા
હાર્દિક પટેલે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિકનું આગળનું રાજકીય સ્ટેન્ડ શું હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે આજે હાર્દિક પટેલ અમદાવાદમાં સવારે 11.00 કલાકે પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં આગામી રાજકીય ભવિષ્યને લઇ હાર્દિક જાહેરાત કરશે તેવા પૂરેપૂરા એંધાણ છે. આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના નેતા પણ હાર્દિક હવે ભાજપમાં જશે તેવો બંડ પોકારી રહ્યા છે.
ADVERTISEMENT
હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમથી લખાયો છે- જગદીશ ઠાકોર
હાર્દિક પટેલના રાજીનામા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપી છે. ચિંતન શિબિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શિબિર સમયે મેં હાર્દિકને બે વખત ફોન કર્યો હતો. પણ હાર્દિકે ફોન કાપી નાખ્યો, કોઈ જવાબ ન આપ્યો.હાર્દિક પટેલની ઈચ્છા હતી કે નારાજગીનો મામલો વધુ લંબાય. હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમથી લખાયો હોવાનો આરોપ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો હતો.
હાર્દિકે રાજીનામાંના પત્રમાં કોંગ્રેસ પર માછલા ધોતા લખ્યું કે,.
છેલ્લા ત્રણ વર્ષમાં મેં જોયું છે કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે. જ્યારે દેશની જનતાને એવા વિકલ્પોની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે, GST લાગુ કરવાની હોય. દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઈચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી. ભારત હોય, ગુજરાત હોય કે, મારો પાટીદાર સમાજ હોય, દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા સીમિત રહ્યું છે.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઈ જશે: રઘુ શર્મા
હાર્દિક પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વાર કરતાં કહ્યું છે કે હાર્દિક પટેલે પહેલાથી જ મન બનાવી લીધું હતું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ જોવા મળી રહ્યા હતા. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ હતું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા છે માટે હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું તેથી પહેલાથી જ મન બનાવી કોંગ્રેસ પર આરોપ મૂકવાનું શરૂ કરી રાજીનામું આપી દીધૂ.
હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે: સુખરામ રાઠવા, નેતા વિપક્ષ
હાર્દિક પટેલ મુદ્દે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે હવે પાટીદાર ફેક્ટરનું ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું. હાર્દિક પટેલ અમારી સાથે પક્ષમાં હતા પણ મનની વાત કોઇ સાથે કરી નહી અને રાજીનામુ આપ્યું. પાર્ટીએ નાની ઉંમરે તક આપી હતી તેમણે આ તકનો ઉપયોગ કરવાની જરૂર હતી.નરેશ પટેલ સામાજિક આગેવાન છે. અમારા મોવડીમંડળ સાથે વાત ચાલી રહી છે
શું કડવા V/S લેઉવા થશે?
નરેશ પટેલ સાથેની બેઠક બાદ બે દિવસમાં તો હાર્દિકના રંગ રૂપ બદલાઈ ગયા હતા. હાર્દિકના રાજીનામાં બાદ જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશ પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. કારણ કે હાર્દિક પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કડવા પટેલની વસ્તી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને સુરતમાં લઉવા પટેલની વસ્તી વધારે છે. હાર્દિક ભાજપમાં જોડાય તો ઉત્તર ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ શકે. પરંતુ જો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં કોગ્રેસને ફાયદો થાય તેવી શક્યતાઓ રહેલી છે જેની પાછળ કારણ એ છે કે, હાર્દિકનું વર્ચસ્વ ઘટી જવાના અણસાર રહે છે. આમ જો હાર્દિક અને નરેશ પટેલ એકબીજાની વિરુદ્ધમાં જાય તો સ્વાભાવિક રીતે પાટીદાર મતોમાં પણ ભાગલા પડી શકે તેમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.