રાજકોટઃ ભાદર ડેમમાં પ્રદૂષણ મામલે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને વસોયાને 11 ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે પણ લલિત વસોયાને સમર્થન આપ્યુ હતું. જેના ભાગરૂપે હાર્દિક પટેલ ભુખી ગામ ખાતે પહોંચ્યા હતા.
જો કે લલિત વસોયા સભા સ્થળેથી ભાદર-2 ડેમમાં જળ સમાધી લેવા જવા રવાના થયા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા લલિત વસોયાને અટકાવવામાં આવ્યા હતા. જળ સમધી લે તે પહેલા પોલીસે તેમની લલિત વસોયાની અટકાયત કરી હતી. લલિત વસોયાની સાથે હાર્દિક પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી.
હાર્દિક પટેલનું નિવેદનઃ
ભૂખી ગામે જનસભામાં હાર્દિક પટેલે લલિત વસોયાના સમર્થનમાં નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે લોકોના કામ કરતા લોકોને હું હમેશા સમર્થન આપું છું. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મોટી સમસ્યા છે. અમે કોઈના વિરોધમાં નથી પરંતું જનતાના હિતમા છીએ. ધોરાજી અને કુતિયાણાના ખેડૂતોને કેમિકલયુક્ત પાણીથી હાલાકી સર્જાઇ રહી છે. આ મુદ્દે કલેક્ટર કે પોલીસ વડા દ્વારા લલિતભાઇ સાથે કોઇ ચર્ચા કરાઇ નથી. ધોરાજી અને આસપાસના વિસ્તારના લોકોને જાગૃત થવાની જરૂર છે. સૌરાષ્ટ્રના લોકોને લાહોર જવું પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.
50 લાખની ઓફર....
વધુમાં હાર્દિકે કહ્યું હતું કે ધોરાજી કુતીયાણા અને આસપાસના વિસ્તારોને પ્રભાવીત કરે છે વરસાદ પાક વિમો અને કેમિકલયુક્ત પાણી આપણી સમસ્યાઓ છે. કેમિકલયુક્ત પાણીથી લોકોના શરીર અને પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે.સત્તા સામે ઝુકવાનું ન હોય લડવાનું હોય. વાંક તમારો અને મારો છે કે આપણે બોઘા જેવા લોકોને ચૂંટ્યા છે.
અટકાયત બાદ હાર્દિક પટેલનું નિવેદન આપતા કહ્યું હતું કે આંદોલન સૌરાષ્ટ્માં વેગવંતુ બનશે. 25 તારીખે બધા મુદ્દાઓ પર આંદોલન થશે. પ્રદુષણ મુદ્દે સભા ન કરવા મને 50 લાખની ઓફર થઇ હતી.