છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે આ તમામ ચર્ચાઓને અંત આવ્યો છે.હાર્દિક પટેલને ચૂંટણી લડવા રાહુલ ગાંધીની લીલીઝંડી મળી ગઈ છે. જેને લઈને હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે તે નક્કી થઈ ચુક્યું છે. હાર્દિકના ચૂંટણી લડવા મુદ્દે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ જીતશે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, હાર્દિકને કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉતારશે.
ગુજરાતમાં પહેલીવાર ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિંયકા ગાંધી જનસંકલ્પ રેલી યોજી હતી. રેલીમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિત કોંગ્રેંસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીના હોમ ગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ગાંધી પરિવારે ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફુંક્યું છે. પ્રિયંકા ગાંધી ભાષણ આપવા ઊભા થયા ત્યારે ઈન્દિરા ગાંધી જિંદાબાદના નારા લાગ્યા હતાં. પ્રિયંકાએ મેરી બહેનો ઔર મેરે ભાઈઓથી સંબોધન શરૂ કર્યું હતું.
રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડવા લીલીઝંડી આપી છે. ગુજરાતની જનતાને ગાંધીનગર જિલ્લાના અડાલજમાં સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીએ દેશની જનતાને સત્તામાં આવવા માટે ખોટા વાયદા કર્યા છે અને દેશની જનતાને ઉલ્લું બનાવી છે. કોંગ્રેસની સરકાર જો સત્તામાં આવી તો દેશભરમાં લધુત્તમ વેતન લાગુ કરવામાં આવશે, આ ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. ગરીબોના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઇ જશે. વર્ષો બાદ ગુજરાતમાં અમારી વર્કિંગ કમિટીની બેઠક થઈ. એક તરફ મહાત્મા ગાંધી આખા દેશને બનાવવામાં પોતાની આખી જિંદગી ખર્ચી. આજે જે દેશ બન્યો છે તે મહાત્મા અને ગુજરાતે બનાવ્યો છે. આજે અન્ય શક્તિઓ આ દેશને નબળો કરવામાં લાગી છે. ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના 4 જજ પ્રેસ પાસે જાય છે અને કહે છે અમને કામ કરવા દેવામાં આવતું નથી.
પુલવામા હુમલાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ હાફીઝ સઇદ આતંકવાદીને પાકિસ્તાન પરત મોકલનારી સરકાર ભાજપને સવાલ કરો કે કેમ તેમની સરકારે પાકિસ્તાનને હવાલે કર્યો અને આજે એજ આતંકવાદી આપણા 40 જવાનોની શહાદતનું કારણ બન્યો છે. આ આતંકવાદીને કાંધાર સુધી પહોચાવનારા કોઇ નહીં પરંતુ આપણા સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હતા.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતની જનતાની માફી પણ માંગી હતી અને જણાવ્યું હતું કે, તમને આટલી ગરમીમાં ઉભા રહેવું પડે છે. આ પછી તેમણે તરત જ પીએમ મોદી પર વાર કર્યો હતો અને કહ્યું કે, ગુજરાતની જનતાએ વડાપ્રધાનને સવાલ કરવો જોઇએ કે તેમણો દેશના જવાનોના 30 હજાર કરોડ રૂપિયા કેમ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા, આ વાતના પુરવા રજૂ કરતા દસ્તાવેજ પણ છે. રાહુલ ગાંધીએ સભામાં વડાપ્રધાન પર હુમલો કરતા જણાવ્યું હતું કે તમારા ખાતામાં 15 લાખ આવશે, શું તે આવ્યા ? તેઓએ રાતોરાત GST લાગુ કરી, પરંતુ આ એક ટેક્સ આજ સુધી નાના વેપારીઓને સમજમાં નથી આવ્યો. પરંતુ હું વાયદો કરું છું કે કોંગ્રેસની સરકાર બની તો GSTને રિફોર્મ કરી એક ટેક્ષવાળી GST આપીશું.