મોરબી જીલ્લામાં આવેલ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાનાં 15 ગામના ખેડૂતો ભેગા થયા હતા. ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો. જાણો શું છે સમગ્ર મામલો...
હળવદમાં ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
મામલતદાર કચેરીએ 15 ગામના ખેડૂતોનો વિરોધ
વીજ લાઈન નાખવામાં વળતર ન અપાયાનો આક્ષેપ
કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વીજ લાઇન પાથરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. તેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી. જેની અત્યાર સુધીમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. તો પણ ન્યાય કરવામાં આવેલ નથી, જેથી કરીને ખેડૂતોએ આજે મામલતદાર કચેરી પાસે અર્ધનગ્ન થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. હાલમાં વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો ન્યાય નહિ કરવામાં આવે તો અંત સુધી લડી લેવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જો કે સરકારી અધિકારીઓ દ્વારા ખેડૂતોને પાયમાલ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે. જેથી કરીને મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ખેડૂતો આજે હળવદ તાલુકા મામલતદાર કચેરીએ ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા હતા. ખેડૂતના કહેવા મુજબ કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વીજલાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી.
વીજલાઇન પાથરતી કંપની દ્વારા પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ
તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં કચ્છ જીલ્લામાં ખારી જમીન માટે જે વળતર આપવામાં આવી રહયું છે તેના કરતાં પણ ઓછું વળતર હળવદની ઉપજાઉ જમીન માટે આપવામાં આવી રહ્યું છે જે ખરેખર અન્યાય સમાન છે માટે અગાઉ કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ ખેડૂતોની વાતને સાંભળવામાં આવી રહી નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કરીને વીજલાઇન પાથરતી કંપની દ્વારા તેઓને પુરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
15 ગામના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં નોંધાવ્યો વિરોધ
વધુમાં ખેડૂતોએ જણાવ્યુ છે કે, ૭૬૫ કે.વી. વિજલાઇન અને જેટકોની લાઇન પસાર થતા ખેડુતોની આજીવીકા છીનવાઇ જાય તેવો ઘાટ છે માટે ખેડૂતોને પૂરું વળતર કંપની દ્વારા આપવામાં આવે તે અનિવાર્ય છે અને આજે અર્ધનગ્ન અવસ્થામાં હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા ખેડૂતો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ 15 ગામના ખેડૂતોને પુરતા પ્રમાણમાં કંપની તરફથી વળતર આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનાર સરપંચની ચૂંટણીઓનો તેમના દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.
સળગતા સવાલ
શા માટે ખેડૂતોને અર્ધનગ્ન થવાની જરૂર પડી ?
શા માટે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતુ નથી ?
શા માટે તંત્ર વીજ કંપનીની મનમાની ચલાવી લે છે ?
શું ખેડૂતોને યોગ્ય વળતર ના મળવું જોઈએ ?
ક્યાં સુધી ખેડૂત પોતાના હક માટે સંઘર્ષ કરતો રહેશે ?
ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે તેમ છતા તંત્ર શા માટે કોઈ પગલા લેતું નથી ?