જેસી કરની વેસી ભરની આ કહેવતની જેમ સુરતમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં લોકડાઉનમાં પણ પાન-મસાલા અને ગુટખાનો ગેરકાયદે વેપાર કરતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની પાસેથી બ્લેકમાં તમાકુ-ગુટખા ખરીદનાર લોકો પર પણ કોરોનાનું સંકટ ઉતરી આવ્યું છે.
સુરતમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસની પુષ્ટી
અડાજણ હની પાર્ક નજીક કોરોનાના 2 દર્દીઓ
લોકડાઉનમાં માવા ગુટખાનો ગેરકાયદેસર વેપાર કરતો હતો દર્દી
સુરતમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે ત્યારે સુરતમાં અડાજણ હની પાર્ક નજીક રહેતા કોરોનાના 2 દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દી લોકડાઉનમાં માવા ગુટખાનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાનું સામે આવ્યું હોવાને પગલે ખળભળાટ મચી ગયો છે.
લોકડાઉનમાં ગેરકાયદે ગુટખા વેચતા કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલી મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. સુરત મહાનગર પાલિકા તંત્રએ 10 ટેનામેન્ટના 320 ઘરોને ક્વોરોન્ટાઇન કર્યા છે.
દર્દીના સંપર્કમાં આવવાથી અનેક લોકો સંક્રમિત થયા હોવાની આશંકા
ગુટખાનો વેપાર કરતા દર્દીના સંપર્કમાં આવવાથી અનેક લોકો સંક્રમિત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ 1,280 લોકોને તંત્રએ માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
શું છે સુરતની સ્થિતિ?
સુરતમાં 456 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં 2નો વધુ ઉમેરો થતા આ સંખ્યા 458 પર પહોંચી છે. અમદાવાદ બાદ ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં 9117 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 3529 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જ્યારે 13 લોકોના મોત થયા છે અને 13 લોકો સાજા થયા છે.
ગુજરાતની સ્થિતિ જોઈએ તો કોરોનાના દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. કોરોનાના 2630 આસપાસ દર્દીઓ નોંધાયા છે જેમાંથી 258 લોકો સાજા થયા છે જ્યારે 112 લોકોના મોત થયા છે.