કોરોનાની આફત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની ફાર્મા કંપનીએ કોરોના વાયરસની દવા અંગે ફોર્મ્યુલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીનનું કોમ્બિનેશન ઉપયોગમાં લઈ શકાય તે અંગે ચર્ચા કરી હતી. ફોર્મ્યુલા અંગે રિસર્ચ બાદ અંતિમ નિર્ણય લેવાશે.
ગુજરાતની ફાર્મસી કંપનીએ કોરોના વાઇરસ માટે દવાની પેટર્ન રજૂ કરી
પ્રધાનમંત્રી સાથેની વીડિયો કોન્ફ્રન્સમાં રજુ કરી ફોર્મ્યુલા
ફોર્મ્યુલા અંગે વધુ રિસર્ચ થયા બાદ અંતિમ નિર્ણય લેવાશે
વડાપ્રધાન સાથેની વીડિયો કોન્ફ્રન્સમાં ગુજરાતની ફાર્મસી કંપનીએ કોરોના વાઇરસ માટે દવાની પેટર્ન રજૂ કરી હતી. હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીનનું કોમ્બિનેશન ફોર્મ્યુલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વિદેશમાં એઇડ્સની દવા પણ કોરોના પોઝિટિવ દર્દીઓના ઈલાજમાં વપરાઈ છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin) અને એઝીથ્રોમાયસીન (azithromycin) આ બન્ને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકાર જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી. એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું કે આ બન્ને દવાઓ શિડ્યુલ એચ.માં આવે છે. જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી. તેમણે મેડિકલ સ્ટોર્સને સુચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી. નાગરિકો આપમેળે લેવા આવે તો તેને ડોક્ટર પાસે મોકલવો.
દવાઓની સંગ્રહખોરી કરવી નહીં, ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બંને દવાઓની સંગ્રહખોરી કરવી નહીં કે રિટેલ ક્ષેત્રે પણ વધુ જથ્થો ભેગો કરવો નહીં. આ દવાઓ ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બંને દવાઓનું ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેથી કરીને લોકોએ કોઇ પ્રકારની ગેરસમજ કરવી નહીં. આ દવા લેવાથી કોરોના સામે સંરક્ષણ મળતું હોવાની ગેરસમજ ઊભી થઈ છે જે તદ્દન અફવા છે. આ દવા માત્રને માત્ર ટ્રીટમેન્ટ માટે એટલે કે સારવાર માટે અસરકારક જણાઈ છે. પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ તરીકે લેવાની નથી.