કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 954 કેસ નોંધાયા છે.
ગુજરાતમા ફરી વિકટ બની કોરોનાની સ્થિતિ
આજે કોરોનાના 954 નવા દર્દી સાથે 703 દર્દીઓ થયાં સાજા
22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 954 નવા દર્દી જ્યારે 703 દર્દીઓ સાજા થયાં છે. આજે અમદાવાદમાં 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો
રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4966 એક્ટિવ કેસ છે. તો હાલ 58 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.65 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,70,658 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4427 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 263 કેસ અને ગ્રામ્યમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 241 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 92 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 80 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.
22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,42,981 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.