ગુજરાત સરકારે એક આશ્ચર્યજનક દાવો કરતા કહ્યું છે કે તેમણે છેલ્લા ૬ દિવસમાં અધધ ૬ કરોડથી વધુ નાગરિકોનો કોરોના મામલે સર્વે કરાયો છે. વિચિત્ર વાત એ છે કે તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ પ્રક્રિયા દર ૧૫ દિવસે પુન: હાથ ધરવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગે આખા રાજ્યનું આરોગ્ય સર્વેક્ષણ લઇ લીધું છે અને હવે અમે કોરોના વાયરસને રોકવા તરફના પગલા લઇ રહ્યા છીએ.
રાજ્યના પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ દાવો કર્યો છે કે આ સર્વે ડોર ટુ ડોર જઈ જઈને લેવાયો છે જેમાં પ્રતિ દિન ૯૯ લાખ લોકોનો સર્વેમાં આવ્યો હતો. આ સર્વે માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અને કોલ સેન્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો તેમનો દાવો છે.
તેમણે એમ પણ કહ્યું કે મંગળવાર સાંજ સુધી ૬.૧૫ કરોડ નાગરિકોનો હેલ્થ સર્વે લેવા માટે ૫૯૦૦૦ હેલ્થ વર્કર, આશા વર્કર, રેવન્યુ ઓફિસર અને શાળાના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાગરિકોને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પૂછવા ઉપરાંત તેમને તાવ, શરદી કે અન્ય આરોગ્યની સમસ્યાના લક્ષણો આવી રહ્યા છે કે નહિ તે અંગે પણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તેઓ કોઈ બિનચેપી રોગથી પીડાય છે કે નહિ તેમ પણ જાણવામાં આવ્યું હતું.
સર્વે કેવી રીતે કરવામાં આવ્યો તે અંગે રવિએ કહ્યું હતું કે આ માટે કમિશ્નર અને જીલ્લાના અધિકારોએ ઘણી મહેનત કરી છે. જ્યાં ડોર ટુ ડોર પૂછવું શક્ય નહોતું ત્યાં ફોન કોલ્સથી પૂછપરછ કરવામાં આવી છે. આ માટે સરકારે વધુ ગીચતા વાળા વિસ્તારો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક રહેણાંક વિસ્તારોમાં દાખલ થવાની પરવાનગી ન મળવાને લીધે તે વિસ્તારો રહી ગયા છે પણ તેમને પણ આવરી લેવામાં આવશે.
તેમણે કહ્યું કે જુનાગઢમાં તમામ ઇન્ટર્ન ડોકટરોનો ઉપયોગ સર્વે લેવા માટે કરવામાં આવ્યો હતો. મોરબીમાં ૯૯% વસ્તી સર્વેમાં આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકોને અપીલ છે કે જો તેમની સોસાયટીમાં આ પ્રક્રિયા બાકી હોય તો ૧૦૪ હેલ્પ લાઈન ઉપર કોલ કરીને જાણ કરે.
ગાંધીનગરના કલેકટર કુલદીપ આર્યએ કહ્યું હતું કે ગાંધીનગરની ૯૯% શહેરી વસ્તીમાં અને ૮૫% ગ્રામ્ય વસ્તીમાં આ સર્વે થઇ ચુક્યો છે.
AMCના (DyMC આરોગ્ય ખાતા) ઓમ પ્રકાશે કહ્યું હતું કે અમદાવાદની ૯૩% વસ્તીને આવરીને ૬૦ લાખ લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો છ જેમાં તેમની દેશ કે વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી, તાવ, શરદી ખાંસીના લક્ષણો નોંધવામાં આવ્યા છે. જો કોઈ શંકાસ્પદ કેસ જણાશે તો તેને હોસ્પિટલમાં દાખલ કરાવીને તેના બ્લડ સેમ્પલ્સ લેવામાં આવશે.
વિપક્ષે ઉઠાવ્યા સર્વે અને કામગીરી પર સવાલ
વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકારના આ દાવાની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે આ પ્રકારનો કોઈ સર્વે અમરેલીમાં થયો નથી. કોઈ મને આ પ્રકારના સર્વે માટે પૂછવા આવ્યું નથી. સરકારે વાતો બંધ કરીને કામ ઉપર ધ્યાન આપવું જોઈએ. આંકડાઓ સાથે રમવાને બદલે કોઈ અર્થસભર કામગીરી હાથ ધરવી જોઈએ. આ સર્વે ધીમે ધીમે પણ અસરકારક રીતે લાંબા સમય સુધી કરવામાં આવે તો મને કોઈ વાંધો નથી પણ તેનાથી આ રોગ કાબૂમાં આવે તે જરૂરી છે.
તો બીજી બાજુ કોરોનાના કારણે થયેલા લોક ડાઉનને પગલે સરકારે નાગરિકોને રેશન પૂરું પાડવાની પણ યોજના બનાવેલી છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ઘેરીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આવા કપરા સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ મળતું નથી. જરૂરી છે કે સરકાર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવે જેથી લોકોને અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સમયસર મળી રહે.
કેવી રીતે કરાયો સર્વે
નોંધનીય છે કે આખા સર્વેમાં ૮૬૦૦૦ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા જેમાંથી ૧૬૦૦૦ લોકો વિદેશની અને ૬૯૮૮૯ લોકો ભારતની આંતરિક ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. કુલ ૬ કરોડથી વધુ લોકોના આ સર્વેમાં ફક્ત ૨૩૧ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આ આંકડો આશ્ચર્યજનક લાગે છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે રાજકોટમાં ૧૫ લાખ લોકોનો ડોર ટુ ડોર સર્વે લેવામાં આવ્યો છે. આ માટે ૧૦૦૦ લોકોની ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે આ પહેલા પોલિયોની રસી માટે પણ ડોર ટુ ડોર કામગીરી સંભાળી છે. શરદી ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોની વિગતો નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્યમાં હાલ ૧૮૭૦૧ લોકો હોમ ક્વોરનટાઈનમાં છે જયારે ૭૪૪ લોકો સરકારી હોસ્પિટલમાં આઈસોલેશનમાં છે. ૧૭૨ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્વોરનટાઈનમાં છે. ક્વોરનટાઈન પ્રોટોકોલ તોડવા બદલ ૨૩૬ લોકો સામે પોલીસ FIR પણ થયેલી છે.
કેટલાંક લોકોએ સર્વે પર ઉઠાવ્યા સવાલ
જો કે સરકારના આ મસમોટા આંકડાઓ સામે સવાલો ઉભા થયા છે. મીડિયા સાથે વાત કરતી વખતે અને સોશ્યલ મીડિયા ઉપર પણ ઘણા નાગરિકોએ સરકારના આ દાવાને પોકળ ગણાવ્યા છે તો વળી ઘણા લોકોએ એવો પ્રતિસાદ આપ્યો છે કે તેમના વિસ્તારમાં સર્વે થઇ ગયો છે.
અમદાવાદના એલીસબ્રીજ, વાસણા, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં, વડોદરાના , આજવા રોડ જેવા વિસ્તારોમાં, રાજકોટ અને સુરતના વિસ્તારોમાં, મહેસાણા, આણંદ, કચ્છના અલગ અલગ ભાગોમાં નાગરિકો કે કહ્યું હતું કે કોઈ તેમનો સર્વે લેવા આવ્યું નથી. જયારે બનાસકાંઠાના નાગરિકોએ કહ્યું હતું કે તેમનો સર્વે લેવા માટે ટીમ આવી હતી.