વડોદરા: મધ્ય ગુજરાતના ખેડા નજીક આવેલ મહુધા-કઠલાલ રોડ પર તાજતેરમાં એક ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બનવા પામી છે. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે ગામમાં હાલ ગમગીનીનો માહોલ સર્જાયો છે.
આ ઘટના અંગે મળતી વિગતવાર માહિતી મૂજબ મહુધા-કઠલાલ રોડ પર પૂર ઝડપે આવી રહેલો રાજસ્થાન પાસીંગનો ટ્રક રીક્ષા સાથે અથડાતા ઘટના સ્થળે જ રીક્ષામાં સવાર પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે એક સાથે પાંચ લોકોના મોતથી મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉભરાયા હતા. તો આ તરફ રોડ પર ટ્રાફિક જામ થવાની ઘટના પણ બની હતી. તમામ મૃતકો મુવાડા વિસ્તારના મુસ્લિમ સમાજના હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.