ગુજરાતની 8 બેઠકો પર ભારે બહુમતિ સાથે ફરી ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતા ત્યારે ભાજપની આ ખુશીમાં પ્રધાનમંત્રી મોદી પણ જોડાયા હતા અને તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.
ગુજરાતની 8 બેઠકો પર બહુમતિ સાથે ભગવો લહેરાયો
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા
PM મોદીએ કહ્યું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનું બંધન અતૂટ છે
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળની રાજ્ય સરકાર તથા સ્થાનિક કાર્યકર્તાઓની મહેનતને બિરદાવું છું. આ સાથે જ તેમણે લખ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનું બંધન અતૂટ છે! રાજ્યના લોકોનો સ્નેહ ફરી એકવાર 8 પેટા ચૂંટણીમાં જોવા મળ્યો છે જ્યાં ભાજપે સંપૂર્ણ જીત હાંસલ કરી છે. હું ગુજરાતના લોકોનો સમર્થન બદલ આભાર માનું છું.
હું @vijayrupanibjp જીના વડપણ હેઠળની રાજ્ય સરકાર તથા સ્થાનિક કાર્યકર્તાઓની મહેનતને બિરદાવું છું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરી ચાલી રહી છે. ભાજપ એક બાદ એક તમામ 8 બેઠકો પર જીત મેળવી છે. આ જીત દર્શાવે છે કે, પ્રજાએ પક્ષપલટાને આવકાર્યો છે.
કોંગ્રેસનું ગદ્દારવાળું કેમ્પેઇન નિષ્ફળ રહ્યુંઃ CM વિજય રૂપાણી
ગુજરાતમાં પેટાચૂંટણીમાં જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકરોની મહેતનથી 8 બેઠકો પર જીત મળી છે. કોંગ્રેસનું ગદ્દારવાળું કેમ્પેઇન નિષ્ફળ રહ્યું. માત્ર ટ્વિટ કરવાથી પ્રજા મત નથી આપતી. લોકોએ વિકાસ જોઇને મત આપ્યો છે. કોંગ્રેસે EVM પર ખોટા આરોપ લગાવ્યા છે. તો શું રાજસ્થાનમાં કોંગ્રેસ જીતી ત્યારે EVMમાં ખામી ન હતી. કોંગ્રેસ જ્યાં હારે છે ત્યાં EVMના ખોટા આક્ષેપ કરે છે.
ભાજપે તમામ 8 બેઠકો પર ભવ્ય જીત મેળવી
કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલની જીત
લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાની જીત
ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમારની જીત
કપરાડા બેઠક પર ભાજપના જીતુ ચૌધરીની જીત
ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલની જીત
અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
ધારી બેઠક પર ભાજપના જે.વી. કાકડિયાની જીત
મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજાની જીત
ભાજપનો સપાટો, કોંગ્રેસના સૂપડા સાફ
કમલમ ખાતે વિજય મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા. પેટાચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમ પહોંચી રહ્યા છે. કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ. તો બીજી તરફ, કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસ ભવન ખાતે સન્નાટો છવાયો છે. સવારથી બપોર સુધી એકપણ નેતા કે પદાધિકારી કોંગ્રેસ ભવન, પાલડી ખાતે દેખાયા નથી.
8 બેઠકો પર ખાલી જીત નહીં, ભવ્ય જીત મળીઃ CM રૂપાણી
ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, 8 બેઠકો પર ખાલી જીત નહીં, ભવ્ય જીત મળી છે. ભાજપની જીતમાં કાર્યકરોની મોટી ભૂમિકા છે. પેટાચૂંટણી તો માત્ર ટ્રેલર છે, હજુ 2022ની વિધાનસભાની અને પંચાયતની ચૂંટણી બાકી છે. આ જનતાનો વિજય છે, PM મોદીના નેતૃત્વ પર જનતાએ વિશ્વાસ મુક્યો છે. કોંગ્રેસે અનેક જૂઠ્ઠાણા ફેલાવ્યા હતા, પ્રજાએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપી દીધો છે. ભાજપ માત્ર જીત્યુ નથી પણ ભવ્ય મતથી જીત્યું છે. પેટાચૂંટણી કોરાનાકાળમાં યોજાઇ હતી. જેમાં કચ્છી, આદિવાસી, સૌરાષ્ટ્ર, મુસ્લિમ અને પાટીદાર સહિત દરેક સમાજના લોકોએ ભારે મતદાન કર્યું છે.