નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજયના વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રની ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને લઈને મહત્વના એલાન કર્યા હતા.
ગુજરાત સરકારનું સામાન્ય બજેટ ગૃહમાં રજૂ
ખેડૂતો માટે કરાયા મોટા એલાન
રવી તેમજ ઉનાળુ પાક માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આગામી સમયગાળામાં રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતોની આવક વધારવા ગુજરાત સરકાર સક્રીય
ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે..
પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.૨૩૧૦ કરોડ.
કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. ૨૬૦ કરોડ.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. ૨૩૧ કરોડ.
સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. ૨૧૩ કરોડ.
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ.
બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.તો આ સાથે જ મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરાયેલ છે.
બજેટ રજૂ કરતા પહેલા મહિલા અધ્યક્ષને પાઠવી શુભેચ્છાઓ
ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ કરવાની શરૂઆત કરતા પહેલા જ તેમણે મહિલા અધ્યક્ષને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોનામાં વિનામૂલ્યે રસી આપીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. પીએ મોદીના નેતૃત્વમાં દેશ પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર થવા તરફ આગળ વધી રહ્યો છે.
આકર્ષણનું કેન્દ્ર બની કલાત્મક બેગ
રાજ્ય સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં આ લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની છે. નોંધનીય છે કે, લાલ રંગની બેગ પર વારલી પેઇન્ટિંગ કરવામાં આવી છે. બજેટ બેગ પર વારલી પેઇન્ટિંગ એ આદિવાસી કળાની એક શૈલી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ ચૂંટણીલક્ષી બજેટ રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તો બજેટમાં નવા વેરાની કોઇ શક્યતા નથી. અનેક યોજનાઓ, રોજગાર વધારવા તેમજ શહેર અને ગામડા માટે વિકાસલક્ષી જાહેરાત થઇ શકે છે. બજેટમાં મકાન ખરીદી, રજીસ્ટ્રેશન ફીમાં રાહત, ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. ત્યારે હવે બજેટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પહોંચ્યા હતા..
પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ રહેશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
પ્રથમ બજેટને લઇ CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ રહેશે. લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે.
બજેટમાં તમામ લોકોની સુખાકારીને ધ્યાને લેવાશેઃ કનુ દેસાઇ
કનુ દેસાઈએ કહ્યું કે, બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે. બજેટ મહિલાઓ,માછીમારો માટે સારુ રહેશે. ખેડૂતો, નોકરિયાત વર્ગ,યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. બજેટ દર વર્ષની જેમ વધારા સાથેનું હશે. બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે.