ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દિલ્હીની મુલાકાતે જઇ રહ્યાં છે. જ્યાં તેઓ હાઉસિંગ કમિટિની બેઠકમાં ભાગ લેશે. જો કે ત્યારબાદ સી. આર. પાટીલ કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. જેને લઇને ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવે તેવી અટકળો તેજ બની ગઇ છે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્લી પ્રવાસે
હાઉસિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે
ભાજપની કેન્દ્રિય નેતાગીરી સાથે પણ કરી શકે છે બેઠક
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દિલ્હીની મુલાકાતે જઇ રહ્યાં છે ત્યારે ફરી રાજ્યના સંગઠનમાં ફેરફારને લઇને અટકળો તેજ બની ગઇ છે. જો કે સી. આર. પાટીલ પોતે હાઉસિંગ કમિટિના અધ્યક્ષ હોય તેને લઇને હાઉસિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઇ રહ્યાં છે.
જો કે આ બેઠકમાં સી. આર. પાટીલ દિલ્હી ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. જેમાં તેઓ ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફારને લઇને ચર્ચા કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાલમાં જ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. જો કે ત્યારબાદ ગઇકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ એકશન મોડમાં જોવા મળ્યાં હતા. જેને લઇને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી રૂપે આકરા પગલા લીધા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 38 હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ પાટીલે સસ્પેન્ડ કરી દીધા હતા. મેન્ડેટનો અનાદર કરનારા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્ડ થયેલા સભ્યોએ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કર્યો હતો. ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13, હારીજમાં 4, ખેડબ્રહ્મામાં 2, થરાદમાં 3 અને તળાજામાં 2 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.