લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. જ્યારે મોદી મંત્રીમંડળમાં કોણ-કોણ હશે તથા તેમને કયું, મંત્રાલય સોંપવામાં આવશે તેને લઇને રાજકારણના વિશ્લેષકોમાં ઉત્સુકતા બની રહી છે. જેમાં ગુજરાતમાંથી ચાર નામોને સ્થાન આપવામાં આવ્યું છે તેવા સમાચાર મળી રહ્યાં છે. ત્યારે આજે સાંજે 7 વાગે ગુજરાતના આ નેતાઓ મંત્રી પદના શપથ લઈ શકે છે.
પુરુષોત્તમ રૂપાલા:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે PM પદના બીજી વખત શપથ લેવાના છે. ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી મંડળમાં પુરુષોત્તમ રૂપાલાનું નામ ફાઈનલ છે. પુરુષોત્તમ રૂપાલા આજે સાંજે 7 વાગે મંત્રી મંડળના શપથ લેશે.
મનસુખ વસાવા:
આજે પીએમ મોદીના મંત્રીમંડળનુ વિસ્તરણ થવાનુ છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મંત્રીમંડળમાં નામ સ્થાન આપવામાં આવ્યુ છે. મનસુખ વસાવાને ફોન આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાંસદના પત્ની અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યારે નામની જાહેરાત થતા કાર્યકરોએ ઉજવણી પણ કરી હતી.
મનસુખ માંડવિયા:
PM મોદીની સાથે મોદી કેબિનેટના મંત્રીઓ પણ શપથ લેવાના છે. ત્યારે મોદી કેબિનેટમાં મનસુખ માંડવિયાને સ્થાન મળ્યું છે. તેમને પણ ફોન કરીને જાણ કરાઇ છે.
અમિત શાહ:
જ્યારે અમિત શાહના નામ પર પણ સસ્પેન્સ ખતમ થઈ ગયું છે અને તેમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેમને કયું ખાતું મળશે તેની કોઈ જાણકારી હજુ સ્પષ્ટ થઈ નથી. પરંતુ ધીરે-ધીરે નરેન્દ્ર મોદીના મંત્રીમંડળને લઇને સ્થિતિ સ્પષ્ટ બની રહી છે. જે નેતાઓ શપથ લેવાના છે એમને પીએમ મોદી તરફથી ફોન દ્વારા જણાવાઇ રહ્યું છે. તમામને સાંજે ચાર વાગ્યે પીએમ આવાસે પહોંચવા જણાવ્યું છે. જેથી હવે ગુજરાતમાંથી અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ વસાવા અને મનસુખ માંડવિયાનો મોદીના મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે.
મોટાભાગના મંત્રીઓને કરાયા રિપીટ:
તમને જણાવી દઇએ કે મળતી માહિતી અનુસાર મોદી કેબિનેટમાં મોટાભાગના મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં સુષમા સ્વરાજ, રાજનાથસિંહ, નીતિન ગડકરી, નિર્મલા સિતારમન, પિયુષ ગોયલ, પુરુષોત્તમ રૂપાલા, રવિશંકર પ્રસાદ, અર્જૂન રામ મેઘવાલને રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રકાશરાવ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, રામવિલાસ પાસવાન, જિતેન્દ્રસિંહ, આર.કે. સિંહ, બાબુલ સુપ્રીયોને પણ રિપીટ કરાયા છે. તો બીજી બાજુ રામદાસ અઠાવલે, સ્મૃતિ ઈરાની, સદાનંદ ગૌડા, કિરેણ રિજિજૂ, સંતોષ ગંગવાર, નરેન્દ્રસિંહ તોમર, ગિરીરાજસિંહ અને હરસિમરત કૌર બાદલ પણ ફરી મંત્રી બની શકે છે.