આજકાલ વાલીઓને પોતાના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા માટેની ઘેલછા વધી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિનપ્રતિદિન ત્યારે હવે ભાવનગરમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના શિક્ષકોએ સરકારી શાળાના માર્કેટિંગ માટેનું કામ શરૂ કર્યું છે.
ભાવનગર મહાનગરપલિકા સંચાલિત શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. શાળાનું વેકેશન ખુલે તે પહેલા વિવિધ વોર્ડમાં ફરી ને જે બાળકોને 5 વર્ષ પૂર્ણ થયા હોઈ અને નવો પ્રવેશ મેળવવાના હોઈ તેવા બાળકોનો એક સર્વે કર્યો હતો. તે મુજબ આ વર્ષે 3000 બાળકો પ્રવેશ મેળવવાને પાત્ર છે. ત્યારે ઘરે ઘરે જઈને શિક્ષકોની ટુકડી વાલીઓને સમજાવવાનું કામ કરી રહી છે.
શાળાના શિક્ષકો સરકારી શાળામાં ઉભી થયેલી સુવિધાઓ જેવી કે કોમ્પ્યુટર લેબ, રમત માટેના મેદાનો, ફ્રિમાં ગણવેશ તેમજ જરૂરિયાત મંદોને શિષ્યવૃતિ અને મધ્યાહન ભોજનની સુવિધા અને જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ ટચ સ્ક્રીન બોર્ડ અંગે માહિતી આપીને વાલીઓને પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવા બેસાડવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.
સામાન્ય રીતે લોકોના મનમાં સરકારી શાળા વિશેની છાપ ખરાબ હોઈ છે. તેથી સરકારી શાળામાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામા ઘટાડો થતો જાય છે. ભાવનગરમાં હાલની વાત કરીએ તો કુલ 45 બિલ્ડીંગો આવેલા છે. જેમાં સવાર અને બપોરની પાણી મળીને કુલ 55 શાળાઓ ચાલે છે. ભાવનગર શહેરમાં 22500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 750 શિક્ષકો ફરજ બજાવે છે.
સરકારી શાળાઓ ખાનગી શાળાને ટકકર મારવા તૈયાર
એક તરફ ખાનગી શાળાઓમાં મોંઘી દાટ ફી અને ટ્યુશનના ખર્ચાઓ તેમજ ઈત્તર પ્રવુતિઓમાં ખાસ ધ્યાન અપાતું હોઈ છે. તો બીજીબાજુ હવે સરકારી શાળાઓ ખાનગી શાળા સામે ટકકર મારવા તૈયાર છે. સરકારી શાળાઓમાં સુવિધા બાબતે હજુ જોઈએ તેટલો પ્રચાર થયો નથી તે વાત સત્ય છે. શિક્ષકોએ સરકારી શાળાનું અસ્તિત્વ ટકાવી રાખવા જે અભિયાન છેડ્યું છે તેને વાલીઓ એ પણ આવકાર્યુ છે.
શિક્ષણ સિવાયની કામગીરી કરાવતી હોવાથી...
આમ તો સરકાર છેલ્લા થોડા વર્ષોથી કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોથી સરકારી શાળામાં લોકો અભ્યાસ કરવા આવે તે માટે કાર્યક્રમો કરી રહી છે જે આવકારદાયક છે. જો કે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી કરાવતી હોવાથી શિક્ષકો અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શક્તા નથી. તેના કારણે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળા તરફ વળ્યાં છે તે પણ સત્ય છે.