વડોદરાઃ આખા દેશમાં નાના ઉદ્યોગકારોને સરળતાથી લોન મળી રહે તે માટે દેશ વ્યાપી ઝુંબેશનો અમલ કરવામાં આવ્યો છે. ૫૯ મિનિટમાં એક કરોડ સુધીની લોન નાના ઉદ્યોગકારને મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે. દેશના અનેક શહેરોમાં ઉદ્યોગકારોને લોનની મંજૂરી પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાના ઉદ્યોગકારોને લોન મંજૂરી પત્ર અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે યુપીએ સરકારમાં નાના ઉદ્યોગ ૫૦ કરોડનું હતું જેને વધારીને નરેન્દ્ર મોદીની સરકારે અઢીસો કરોડ સુધી લઈ જવામાં સફળતા હાસલ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ડેરી ઉદ્યોગમાં ૩૦૦ કરોડની સહાય જાહેર કરી છે. જેનાથી ડેરી ઉદ્યોગને રાહત મળશે.
મુખ્યમંત્રીએ વડોદરાએ ઈલેક્ટ્રીક અને ફાર્મા સીટિકલ માટેનું હબ છે અહીંના નાના ઉદ્યોગકારોને સરકાર તમામ પ્રકારની સહાય કરશે તેવી ખાતરી આપી હતી. રાજ્યમાં અનેક જીઆઇડીસીને મંજૂરી આપી છે. કોંગ્રેસની સરકારોએ તેના શાસનમાં મોટા ઉદ્યોગગૃહોને જ ફાયદો કરાવ્યો હતો.
જ્યારે ભાજપ સરકાર નાના ઉદ્યોગકારો માટે કામ કરી રહી છે. તેના ભાગરૂપે જ સરળતાથી નાના ઉદ્યોગકારને લોન મળી રહે તેવું આયોજન કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું કે દૂધના આંતરરાષ્ટ્રીય લેવલે માંગ ઘટતા ભાવમાં ઘટાડો થયો છે. ડેરીઓને માલનો ભરાવો થયો છે જેના કારણે રાજ્ય સરકારે ૩૦૦ કરોડની સહાય જાહેર કરી છે જેનાથી ડેરી ઉદ્યોગને રાહત મળશે.