અમદાવાદ: હાઈકોર્ટની વેધક ટકોર બાદ AMCએ શહેરમાં દબાણયુક્ત બાંધકામ આડેધડ પાર્કિંગ અને લારી-ગલ્લાંઓ એમ ત્રણ પ્રકારના દબાણો હટાવીને શહેરીજનોને પહોળા રસ્તા નસીબ કરાવ્યા છે.
ત્યારે હવે ફૂલ ફોર્મમાં રહેલા AMC તંત્રએ હવે ચોથા પ્રકારનું જીવંત દબાણ અટલે કે રખડતા ઢોર દૂર કરવા માટે કમરકસી છે. હવે વિકસતા મેટ્રો શહેરમાં ઢોરને પકડવા માટે એન્જિનીયરોને કામગીરી સોંપવામાં આવી છે. કેમકે એસ્ટેટ વિભાગને લાગે છે કે ઢોર દૂર કરવા માટે એન્જિનિયરોને દોડાવવામાં આવશે તો ભ્રષ્ટાચાર અને ઢોર બન્ને દૂર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મહાનગરપાલિકા સક્રિય થઈ છે. પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. તો ટ્રાફિક વિભાગ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ પર તવાઈ બોલાવવામાં આવી હતી.
એક તરફ ગેરકાયદેસર અને આડેધડ ઉભા રાખેલા લારી ગલ્લાઓ હટાવાવમાં આવ્યા છે તો બીજી તરફ ગેરકાયદેસર બાંધકામના દબાણો હટાવવામાં આવ્યા છે.
જેના કારણે હાલ શહેરમાં ઘણા વર્ષો બાદ પહોળા રસ્તાઓનો નજારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં કરવામાં આવેલી દબાણ હટાવ કામગરીના કારણે શહેરીજનો સંતોષની લાગણી અનુભવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરહિતની કામગીરીમા હાલ ફૂલ ફોર્મમાં છે. જો કે વગ અન વજન ધરાવતા કેટલાક લોકોના બાંધકામો પર હથોડો ઝિંકવામાં ખચકાઈ રહેલા ગણ્યાગાંઠયા અધિકારીઓ પણ શંકાની રડારમાં આવી રહયા છે. પરંતુ આ બધું મેગા ડિમોલિશનની કામગીરીની સરખામણીએ પાશેરામાં પૂણી જેવું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ આડેધડ પાર્કિંગ અને લારી ગલ્લાઆ એમ ત્રણ પ્રકારના દબાણ દૂર કર્યા છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલા કદી ન લીધો હોય તેવો નિર્ણય લીધો છે.
હવે મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ પરથી લાઈવ દબાણ દૂર કરવાનો નિર્ણય લીધો છે. લાઈવ દબાણ એટલે રખડતા ઢોરોનું દબાણ અને આ દબાણ દૂર કરવા માટે એન્જિનિયરોની મદદ લેવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયરો હવે ઢોર પકડવાની કામગીરી કરશે અને આ માટે કમિશનરે આદેશ કર્યો છે. કેમ કે AMCના ઢોર પકડનારા વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે.
જેને ડામવા માટે ઢોર પકડ ટીમ સાથે એસ્ટેટ વિભાગના એન્જિનિયરો પણ ઢોર પકડવા માટે જશે. આપને જણાવી દઈએ કે એસ્ટેટ વિભાગના એન્જિનીયરોનું મૂળ કામ બાંધકામ વિભાગમાં બીયુ પરમિશન ટાઉન પ્લાનિંગ સાથે જોડાયેલા મુદ્દાઓમાં મદદ કરવાનું છે.
પરંતુ હાઈકોર્ટે હવે રસ્તા પરથી ઢોરને હટાવવા માટે એસ્ટેટ વિભાગ પર વિશ્વાસ મૂક્યો છે. એટલે એસ્ટેટ વિભાગે એન્જીનીયરોને ઝોન વાઈઝ ઢોર હટાવ કામગીરી માટે એન્જિનિયરોને ઓર્ડર કર્યા છે. નવાઈની વાત એ છે કે શહેરમાં આડેધડ થયેલા બાંધકામની મંજૂરીના મૂળમાં એસ્ટેટ વિભાગના એન્જિનીયરો દ્વારા આપવામાં આવેલા ઓકે રિપોર્ટ પણ ઘણે અંશે જવાબદાર છે. એ દબાણ દૂર કરવા માટે આજે આટલું મોટું અભિયાન હાથ ધરવું પડયું છે.
જે દબાણો હજુ સંપૂર્ણ રીતે દૂર થયા નથી ત્યારે હવે ઢોર પકડવા માટે આ જ એન્જિયરો અને મદદનીશ એન્જિનીયરોની મદદ લેવાનો આદેશ આપીને હાઈકોર્ટે એક પ્રકારનો સૂચિત ઈશારો પણ કરી દીધો છે. બાકી હાલ તો ઢોર પકડનાર વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા એસ્ટેટ વિભાગે એન્જિનીયરોની મદદ લેવી પડે તે તે વાત ગળે ઉતરે તેમ નથી.