ટેક્સ બચતની સાથે-સાથે રોકાણ માટે અત્યંત લોકપ્રિય સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સરકારે કેટલાક ફેરફાર કર્યા છે. નાણાં મંત્રાલય કેટલાક નિયમો બદલીને નવા નિયમો લાવ્યું છે, જોકે આ યોજનામાં બહુ મોટા ફેરફાર થયા નથી, પરંતુ જે નાના ફેરફાર થયા છે તે જાણવા જરૂરી છે
ટેક્સ બચતની સાથે-સાથે રોકાણ માટે લોકપ્રિય છે આ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનાના વિવિધ નિયમોમાં થયા ફેરફાર
પ્રિમેચ્યોર એકાઉન્ટ ક્લોઝ કરવાના નિયમો બદલાયા
ડિફોલ્ટ એકાઉન્ટ પર વધુ વ્યાજદર
નિયમો મુજબ જો તમે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં 250 રૂપિયાની રકમ પણ એક વર્ષમાં જમા કરતા નથી તો તેને ડિફોલ્ટ એકાઉન્ટ માનવામાં આવશે. સરકાર દ્વારા 12 ડિસેમ્બર, 2019ના રોજ અધિસૂચિત કરાયેલા નવા નિયમ મુજબ હવે એવા ડિફોલ્ટ એકાઉન્ટમાં જમા રકમ પર એ જ ઇન્ટરેસ્ટ રેટ મળશે જે સ્કીમ માટે નક્કી કરાયા છે. પહેલા આ પ્રકારના એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ રેટ પોસ્ટ ઓફિસ બચતખાતા પર મળતા વ્યાજદરની બરાબર મળતો હતો. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.7 ટકા તો પોસ્ટ ઓફિસ બચતખાતા પર 4 ટકાના દરે વ્યાજ મળે છે.
પ્રિમેચ્યોર એકાઉન્ટ ક્લોઝ કરવાના નિયમો બદલાયા
નવા નિયમો મુજબ બાળકીના મૃત્યુ થવા કે સહાનુભૂતિના આધારે એકાઉન્ટને મેચ્યોરિટી ડેટ પહેલાં બંધ કરી શકાય છે. સહાનુભૂતિનો અર્થ એ સંદર્ભે થાય છે કે એકાઉન્ટ હોલ્ડરની જીવલેણ બીમારીનો ઇલાજ કરાવવાનો હોય કે વાલીનું મોત થયું હોય. આ પહેલાં માત્ર એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ કે બાળકીનું નિવાસસ્થાન બદલાય ત્યારબાદ જ એકાઉન્ટને બંધ કરી શકાતું હતું.
એકાઉન્ટનું સંચાલન
નવા નિયમો મુજબ જે બાળકીના નામથી એકાઉન્ટ હોય તે જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી
પોતાના ખાતાનું સંચાલન હાથમાં લઇ શકતી નથી. પહેલાં આ ઉંમર 10 વર્ષની હતી, જ્યારે બાળકી 18 વર્ષની થઇ જશે ત્યારે વાલીએ બાળકીના સંબંધિત દસ્તાવેજને પોસ્ટઓફિસમાં જમા કરાવવા પડશે.
બે બાળકીઓથી વધુનું ખાતું ખોલાવવું
હવે બે બાળકીઓ કરતાં વધુનું ખાતું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખોલાવવા માટે વધારાના દસ્તાવેજ જમા કરવાની જરૂર પડશે. નવા નિયમ મુજબ જો બેથી વધુ બાળકીઓનું ખાતું ખોલાવવું હોય તો બર્થ સર્ટિફિકેટની સાથે-સાથે સોગંદનામું પણ આપવું પડશે. આ પહેલાં માત્ર મેડિકલ સર્ટિફિકેટ આપવું પડતું હતું
અન્ય બદલાવ
સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ઉપરના બદલાવ ઉપરાંત કેટલીક નવી જોગવાઇ જોડવામાં આવી છે, જ્યારે કેટલીક જોગવાઇ હટાવાઇ પણ છે, પરંતુ હજુ સુધી તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.