ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ડિસેમ્બરની દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં પણ વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. બ્રોકરેજ કંપનીઓનું માનવું છે કે ડિસેમ્બરમાં કેન્દ્રીય બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે ત્યારબાદ ઘટાડાનો સિલસિલો રોકી દેશે.
નાણાકીય નીતિ સમિતિ ડિસેમ્બરમાં રેપો રેટ 4.90 ટકા પર લાવે તેવી સંભાવના
ઓગસ્ટમાં રિઝર્વ બેન્કે ગ્રોથનું અનુમાન 7.0 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યું
રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિએ શુક્રવારે રેપો રેટને 0.25 ટકા ઘટાડી 5.15 ટકા કરી દીધો છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે તે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા સુધી આ નરમ વલણને ચાલુ રાખશે.
ડિસેમ્બરમાં રેપો રેટમાં ઘટાડાની સંભાવના
ગોલ્ડમેન સેશે એક રિપોર્ટમાં કહ્યું, અમને એ વાતની ઘણી સંભાવના દેખાઇ રહી છે કે, રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિ ડિસેમ્બરની નાણાકીય સમીક્ષામાં રેપો રેટને 25 બેસિસ પોઇ્ન્ટ વધુ ઘટાડી 4.90 ટકા પર લાવશે. આ ઓક્ટોબરમાં અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા દરોમાં વધુ ઘટાડાના અમારા અનુમાનથી મેળ ખાય છે.
ડિસેમ્બર બાદ બંધ થશે ઘટાડાનો સિલસિલો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર બાદ રિઝર્વ બેન્ક નીતિગત દરમાં ઘટાડાના સિલસિલાને રોકશે. કેમકે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત ફૂગાવો 4 ટકાની આસપાસ રહેશે, જેથી દરોમાં વધુ ઘટાડાની આશંકા નહીં બને. ત્યારબાદ નાણાકીય નીતિ સમિતિ આકલન કરશે કે નાણાકીય વલણમાં નરમીની શુ અસર થઇ છે. સાથે જ સરકારે જે જાહેરાતો કરી છે, તેનો શું પ્રભાવ પડ્યો છે.
RBIએ GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું
પોલિસી બાદ આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દીધું છે. આ પહેલા ઓગસ્ટમાં રિઝર્વ બેન્કે ગ્રોથનું અનુમાન 7.0 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યું હતું.