કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, જેમાં હળદર ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરતી હોવાથી બજારમાં હળદરની માંગમાં વધારો થયો છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવામાં આવેલી GNT 2 હળદરની જાત દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે હવે સૌરાષ્ટ્રનાં ખેડૂતોને આકર્ષી રહી છે.
આયુર્વેદિક ઔષધિ છે હળદર
ઓછા ખર્ચે મળે છે વધુ ઉત્પાદન
નવસારી જિલ્લામાં મોટા પાયે વાવેતર
કોરોના સામેની રસી હજી માર્કેટમાં આવી નથી, ત્યારે આયુર્વેદિક ઉકાળાઓ થકી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોના રાક્ષસને નાથવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં હળદર સૌથી ઉત્તમ ઔષધ સાબિત થઇ રહી છે, આયુર્વેદ અનુસાર હળદરમાં ત્રણેય પ્રદોષનું શમન કરવાની શક્તિ છે, જેથી હળદર બાળકોથી લઇ વૃદ્ધો માટે અકસીર છે. ત્યારે બજારમાં હળદરની માંગ વધી છે. જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખેતરમાં મુખ્ય પાક અથવા પુરક કે મિશ્રપાક તરીકે પણ હળદરને વાવી રહ્યા છે. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી GNT 2 હળદર ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન આપતી હોવાથી, ખેડૂતોને પણ સારી આવક રળી આપે છે.
ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન આપતી GNT 2 હળદરની જાત વિકસાવી
ભારતમાં 58થી વધારે મસાલા થાય છે અને તેમાં પણ હળદરનું ઉત્પાદન વધુ થાય છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત સહિતના જિલ્લાઓમાં અંદાજે 2 હજાર હેક્ટર જમીનમાં હળદરની ખેતી થાય છે. નવસારી કૃષિ યુનીવર્સીટીના જનીન વિજ્ઞાન અને વનસ્પતિ સંવર્ધન વિભાગ દ્વારા પરંપરાગત હળદરમાં 10 વર્ષોના સંશોધન બાદ ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન આપતી GNT 2 હળદરની જાત વિકસાવી છે. જેના રોપાણ બાદ 160 દિવસમાં એક હેક્ટરે 30 ટન હળદરનું ઉત્પાદન આપે છે. સાથે જ એમાં કર્ક્યુંમીન કન્ટેન્ટને કારણે એનો પાવડર ગોલ્ડન યલો રંગનો હોય છે, જેની બજારમાં વધુ માંગ છે.
આયુર્વેદિક ઔષધિ છે હળદર
જેના આયુર્વેદિક ગુણધર્મો પણ છે, જે વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોને દુર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે વાયરલ રોગોમાં પણ કારગર સાબિત થાય છે, જેથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે હળદરનો ઉપયોગ વધ્યો છે. જેથી દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ હળદર આકર્ષી રહી છે.
મસાલાઓમાં સૌથી વધુ ઉત્પાદન આપતી હળદર, વાયરલ રોગોમાં પણ અકસીર સાબિત થતા બજારમાં માંગ વધવા સાથે જ ખેડૂતો પણ હળદરના પાક તરફ વળી રહ્યા છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી હળદરની નવી જાત ખેડૂતોની આવક બેવડાવવામાં આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે.