ગીર સોમનાથઃ ગીર પંથકમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી પધરામણી કરી છે. બે કલાક વરસેલા વરસાદે સમગ્ર પંથકને તરબોળ કર્યું હતું. ખાસ કરીને ગીર ગઢડા કોડીનાર અને સુતરાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. ઉના તાલાલા અને વેરાવળમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
માત્ર આઠ કલાકમાં સુત્રાપાડામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો તો કોડીનારમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુત્રાપાડા અને કોડીનારમાં રાત્રે ધોધમાર વરસાદ પડતા ગામ અને શહેરમાં પાણી ફરી વળ્યું હતું. ગામડાની શેરીઓ વરસાદી પાણીથી તરબોળ થઈ હતી. તો શહેરના માર્ગો પર પણ પાણી ફરી વળ્યું.
દ્રોણેશ્વર ડેમ છલકાયો
આ તરફ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા. બીજી તરફ ભારે વરસાદના પગલે ગીરગઢડાના દ્રોણેશ્વર ડેમ છલકાયો હતો. ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામડાઓમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
કારણ કે દ્રોણેશ્વર ડેમમાંથી અંદાજીત 20 જેટલા ગામોને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. જ્યારે 15થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ગીર સોમનાથના ઉના પંથકમાં ધોધમાર વરસાદના કારણે સાંગરવાડી નદીમાં પુર આવ્યું હતું.
જોકે ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છલાઈ ગયો છે.