સેનાના રાજકીય ઉપયોગને લઈને પૂર્વ સૈન્ય અધિકારીઓ તરફથી રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો હતો. આ મામલે જોરદાર વિરોધ ઉભો થયો છે. ત્રણેય સેનાના 8 પૂર્વ પ્રમુખો સહિત 156થી વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના નામે રાજકારણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. પરંતુ અનેક સૈન્ય અધિકારીઓએ આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો જ નથી તેવી વાત કરી છે.
સેનાના રાજકીય ઉપયોગને લઈને પૂર્વ સૈન્ય અધિકારીઓ તરફથી રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો હતો. દાવો કરાયો છે કે, ભાજપ સર્જિકલ સ્ટ્રાઈક જેવા સૈન્યના ઓપરેશનનો શ્રેય લઈ રહી છે. તે ઉપરાંત ભારતીય સેનાને મોદીની સેના ગણાવવામાં આવી રહી છે. 11 એપ્રિલે જાહેર થયેલી આ ચિઠ્ઠીમાં રાષ્ટ્રપતિને રાજકીય પક્ષોને સેનાનો રાજકીય ઉપયોગ રોકવા માટે પગલાં લેવાની અપીલ કરાઈ હતી.
જોકે રાષ્ટ્રપતિ ભવને આ વિશે કોઈ પણ પત્ર મળ્યો ન હોવાનું નિવેદન કરાઈ રહ્યું છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય સેનાને મોદીજીની સેના કહીને સંબોધી હતી. પૂર્વ સૈનિકોની ચિઠ્ઠી વિશે કોંગ્રેસે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, મોદી ભલે સેનાના નામે વોટ માગે પરંતુ દેશની સેના દેશની સાથે જ છે, ભાજપ સાથે નહીં.
આ મામલે પૂર્વ આર્મી ચીફ એસ એફ રૉડ્રિંગ્સે આ પ્રકારના કોઈ પત્ર વિશે તેમને જાણ હોવાનો જ ઈન્કાર કર્યો છે. પૂર્વ અધિકારીઓના નામે જે પત્ર ફરી રહ્યો છે તેમાં રોડ્રિંગ્સનું નામ સૌથી મોખરે છે. તેમણે કહ્યું કે, હું નથી જાણતો કે આ બધું શું છે. હું મારી જીંદગીમાં રાજકારણથી દૂર જ રહ્યો છું. 42 વર્ષ સુધી અધિકારી પદે સેવા આવ્યા બાદ આમ થઈ જ ન શકે. મારા માટે હંમેશા દેશ પહેલા રહ્યો છે. હું નથી જાણતો કે આ બધુ કોણ કરી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સેના અને સૈન્યના યુનિફોર્મનો ઉપયોગ થવાથી ઘણાં પૂર્વ સૈન્ય અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો છે.