રાજકોટમાં ગરબાના આયોજનને રાત્રીના 12 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે. અગાઉ 10 વાગ્યા સુધી મંજુરી આપતા વિવાદ જાગ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા નમતું જોખી 12 વાગ્યા સુધીની છૂટ આપાઈ છે.
રાજકોટમાં ગરબાને લઇને મહત્વના સમાચાર
રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મળી મંજુરી
અગાઉ 10 વાગ્યા સુધી હતી મંજુરી
નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા. જે પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતી વચ્ચે રાજકોટમાં ગરબા રાશિકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સુચના આપાઈ હતી. જેને લઇને ગરબા સંચાલકો અસમંજસમાં મુકાયા હતા. આથી ફરી નિર્ણય લઇને રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજુરી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ જાહેર કરાયો હતો પરિપત્ર
આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. રાજકોટ પોલીસ કમિશનર અને નવરાત્રીના આયોજન કરતા સંચાલકો વચ્ચે આજે બેઠક યોજાઇ હતી. જેમાં અગાઉ ગરબાના આયોજનો માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની તાકીદ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા 10 વાગ્યા સુધી જ માઇકની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. આથી આયોજકોમાં વિવાદ ઉઠ્યો હતો.
12 વાગ્યા સુધીની મંજુરીની કરાઇ હતી માંગ
વધુમાં નવરાત્રીના આયોજનની સમય મર્યાદાને લઇને રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લઇ શકે છે. તેમ પણ જણાવાયું હતું. ત્યારે લાંબા સમય બાદ આયોજન અંગે સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હોવાથી 12 વાગ્યા સુધીની મંજુરીને આપે તેવી સંચાલકો રાહ જોઇને બેઠા હતા. જેની માંગને લઇને તંત્ર દ્વારા ફેરવીચારણા કરવામાં આવી હતી અને 12 વાગ્યા સુધીની ગરબાની છૂટ આપવામાં આવતા આયોજકોમાં આનંદ છવાયો હતો.