૨૮ ઓક્ટોબર, ૨૦૨૨એ સૌથી વધુ ૯૮ હજાર પેસેન્જર નોંધાયા
ઓક્ટોબર-૨૦૨૨ના દિવાળીના તહેવારોમાં મેટ્રો ટ્રેન અમદાવાદીઓથી ભરચક થઈને દોડતી હતી. તા. ૯ ઓક્ટોબર, ઈદ-એ-મિલાદનો તહેવાર અને રવિવાર હોઈ ૯૨,૫૧૬ પેસેન્જર નોંધાયા હતા. જોકે ૨૮ ઓક્ટોબર-૨૦૨૨એ રેકોર્ડ ૯૮,૬૪૯ પેસેન્જર્સે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. તે દિવસે તંત્રએ રૂ. ૧૬.૯૭ લાખથી વધુની કમાણી કરી હતી.
૪ ઓક્ટોબર, ૨૦૨૨એ સૌથી ઓછા ૨૨,૩૯૯ પેસેન્જર થયા હતા.મેટ્રો ટ્રેનના છેલ્લા છ મહિનાના ઇતિહાસમાં પ્રારંભમાં થલતેજ થી વસ્ત્રાલ ગામ વચ્ચેના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર સેવાની શરૂઆત થતાં તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૨એ સૌથી ઓછા ૨૨,૩૯૯ પેસેન્જર્સ નોંધાઈને કુલ રૂ. ૩,૮૭,૭૩૦ની આવક થઈ હતી. જોક તા. ૬ ઓક્ટોબરથી એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે પણ મેટ્રો ટ્રેન દોડતી થતાં આવકમાં વધારો થયો હતો.
જાહેર પરિવહન સેવાક્ષેત્રમાં મેટ્રો ટ્રેનનો ત્રીજો વિકલ્પ
શહેરીજનોને એએમટીએસ અને બીઆરટીએસ બાદ હવે જાહેર પરિવહન સેવાક્ષેત્રમાં મેટ્રો ટ્રેનનો ત્રીજો વિકલ્પ પણ મળ્યો છે. મેટ્રો ટ્રેન ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે. ખાસ કરીને તેનાં રેલવે સ્ટેશન, બીઆરટીએસ અને એએમટીએસ બસસ્ટેન્ડને સાંકળતાં વિવિધ લોકેશનના કારણે વધુ ને વધુ પેસેન્જર્સ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા થયા છે. આ ઉપરાંત હવે મેટ્રો ટ્રેન સવારના ૭.૦૦ વાગ્યાથી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ બની છે. આમ તેના સમયમાં પણ વધારો થવાથી અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનને ઉમળકાભેર વધાવી લીધી છે. મેટ્રો ટ્રેન ૧૫થી ૨૦ મિનિટના સમયગાળામાં પેસેન્જર્સને ઉપલબ્ધ થતી
લાખો અમદાવાદીને તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૨ - ગાંધી જયંતીથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. દ્વારા થલતેજથી વસ્ત્રાલ ગામ વચ્ચેના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર મેટ્રો ટ્રેનની ભેટ અપાઈ હતી, જ્યારે તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૨થી ઉત્તર-પશ્ચિમ કોરિડોર પર એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી કરાઈ હતી. પ્રારંભમાં પેસેન્જર્સને સવારના ૯.૦૦ વાગ્યાથી રાતના ૮.૦૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો લાભ મળતો હતો અને દર ૩૦ મિનિટે મેટ્રો ટ્રેન મળતી હતી. શનિ-રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં પીકઅવર્સ દરમિયાન મેટ્રો ટ્રેન ૧૫થી ૨૦ મિનિટના સમયગાળામાં પેસેન્જર્સને ઉપલબ્ધ થતી હતી.
હવે તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩થી મેટ્રો ટ્રેનનો સમય સવારે અને સાંજે બે-બે કલાક સુધી વધારી દેવાયો છે. તંત્ર દ્વારા સવારે ૭.૦૦થી ૮.૦૦ વચ્ચે દર ૧૮ મિનિટે, સવારે ૮.૦૦થી ૧૧.૦૦ની વચ્ચે દર ૧૫ મિનિટે, સવારે ૧૧.૦૦થી સાંજના ૫.૦૦ વાગ્યા વચ્ચે દર ૧૮ મિનિટે, સાંજે ૫.૦૦થી રાતના ૮.૦૦ સુધી દર ૧૫ મિનિટે અને રાતના ૮.૦૦થી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી દર ૧૮ મિનિટે પેસેન્જર્સને મેટ્રો ટ્રેનની સુવિધા અપાઈ રહી છે.
તંત્ર દ્વારા મળેલા સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર-૨૦૨૨માં ૧૫,૪૪,૨૨૫ પેસેન્જર્સથી રૂ. ૨,૫૧,૯૬,૧૦૧.૨૩ની કુલ આવક થઈ હતી. નવેમ્બરમાં તંત્રના ચોપડે ૧૧,૯૪,૧૩૧ પેસેન્જર નોંધાયા હતા. આટલા પેસેન્જર્સથી રૂ. ૧,૮૯,૯૧,૪૩૩.૯૮ની આવક તંત્રએ રળી હતી. ડિસેમ્બર-૨૨માં મેટ્રો ટ્રેનની સફર ૧૧,૦૦,૮૫૧ પેસેન્જર્સે માણી હતી. ડિસેમ્બર મહિનામાં તંત્રની તિજોરીમાં રૂ. ૧,૬૮,૩૦,૧૩૧.૧૬ ઠલવાયા હતા.
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનાની વાત કરીએ તો જાન્યુઆરી-૨૦૨૩માં ૧૦,૯૨,૨૦૨ પેસેન્જર્સથી સત્તાવાળાઓને રૂ. ૧,૬૭,૫૦,૧૯૨.૨૧ની આવક થઈ હતી. જ્યારે ફેબ્રુઆરી-૨૩માં ૧૦,૭૮,૭૨૦ પેસેન્જર્સથી સત્તાધીશોને ૧,૬૪,૩૫,૮૪૯.૦૮ની આવક થઈ હતી. હવે છેલ્લા માર્ચ-૨૦૨૩ના નોંધાયેલા પેસેન્જર્સ અને આવકની વાત કરીએ તો એ મહિનામાં ૧૧,૩૨,૩૮૨ પેસેન્જર્સે મેટ્રો ટ્રેનનો લહાવો લીધો હતો. માર્ચ-૨૦૨૩માં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ને કુલ રૂ. ૧,૭૩,૪૩,૦૪૫.૦૮ની આવક થવા પામી હતી.
આવકની દૃષ્ટિએ ઓક્ટોબર-૨૦૨૨નો મહિનો ખાસ ઉલ્લેખનીય રહ્યો
સત્તાવાળાઓનો રિપોર્ટ દર્શાવે છે કે પેસેન્જર્સ અને આવકની દૃષ્ટિએ ઓક્ટોબર-૨૦૨૨નો મહિનો ખાસ ઉલ્લેખનીય રહ્યો હતો. તે મહિનામાં સૌથી વધુ ૧૫.૪૪ લાખથી વધુ પેસેન્જર્સ અને સૌથી વધુ રૂ. ૨.૫૨ કરોડથી વધુની આવક થઈ હતી, જ્યારે છેલ્લા છ મહિનાનો રિપોર્ટ એમ પણ દર્શાવે છે કે આવકની દૃષ્ટિએ ફેબ્રુઆરી-૨૦૨૩માં સૌથી ઓછા ૧૦.૭૮ લાખ પેસેન્જર્સ અને સૌથી ઓછી રૂ. ૧.૬૪ કરોડની આવક થઈ હતી.
છેલ્લા છ મહિનાના પેસેન્જર્સની કુલ સંખ્યાને તપાસતાં તે ૭૧,૪૨,૫૧૧ની થવા પામી છે. એટલે કે મેટ્રો ટ્રેનની સફર ૭૧ લાખથી વધુ અમદાવાદીઓ કરી ચૂક્યા છે. હવે ઓક્ટોબર-૨૦૨૨થી માર્ચ-૨૦૨૩ સુધીના છેલ્લા છ મહિનાની આવકને જોતાં તે કુલ રૂ. ૧૧,૧૫,૪૬,૭૫૨ એટલે કે રૂ. ૧૧.૧૫ કરોડ જેટલી ઉત્સાહજનક થઈ છે.
પેસેન્જર્સે મેટ્રો ટ્રેનના વિકલ્પને જાહેર પરિવહન સેવા ક્ષેત્રના અગત્યના માધ્યમ તરીકે હરખભેર વધાવી લેતાં આ બાબતથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. પણ ખુશખુશાલ છે.