ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ વિદેશ પ્રધાન એવા કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે સવારે 4 વાગ્યે તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નિધન થયું હતું. ત્યારે આજે ભરતસિંહ અમેરિકાથી ગુજરાત પરત ફર્યા હતા. હાલ માધવસિંહના પાર્થિવદેહને ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા. સેવાદળ માધવસિંહ સોલંકીને બ્યુગલ વગાડી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
આજે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરાયા
માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસ કાર્યાલય રખાયો હતો
સેવાદળ માધવસિંહ સોલંકીને બ્યુગલ વગાડી ગાર્ડ ઓફ ઓનર અપાયું
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયું છે ત્યારે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે હાલ અંતિમ દર્શન માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્રિરંગામાં લપેટીને તેમના પાર્થિવ દેહ લવાયો હતો. અહીં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ અને કાર્યકરોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. સેવાદળે માધવસિંહને સલામી આપી હતી.
Mortals remains of Former Foreign Minister and Former CM of Gujarat, Late Shri Madhavsinh Solanki arrives at Rajiv Gandhi Bhavan, Ahmedabad. pic.twitter.com/KFXmwKTPgB
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલિન થયા
ત્યારબાદ ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. કોંગ્રેસ કાર્યાલયથી VS હોસ્પિટલ ખાતેના સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમ યાત્રી નીકળી હતી. ગુજરાતના પોલીસ જવાનોએ માધવસિંહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા છે.
ભરતસિંહ અમેરિકાથી પરત આવતા જ અમદાવાદ એરપોર્ટ પર પિતાને યાદ કરી ભાવુક થયા હતા
પિતાના નિધનથી આઘાતમાં સરી પડેલા તેમના પુત્ર અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમના નિધન સમયે અમેરિકા હતા. તેઓ તત્કાળ આજે ગુજરાત ફર્યા હતા. ત્યારબાદ આજે માધવસિંહના અંતિમ સંસ્કાર કરાશે. અમેરિકાથી પરત ફર્યા બાદ પિતા માધવસિંહના નિધન પર ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું. ભરતસિંહે કહ્યું, હું જે કઈ પણ છું તે મારા પિતાના કારણે છું. મારા પિતા ચટ્ટાનની જેમ મારી પડખે રહ્યા. ગુજરાત મારા પિતાને ખુબ સારી રીતે ઓળખે છે. જાહેર જીવનના છ દશકા એમને લોકોનો પ્રેમ સંપાદન કર્યો.
પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી, વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું
તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અનેક મહાનુભાવોએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
કોણ હતા માધવસિંહ સોલંકી?
માધવસિંહ સોલંકી ગુજરાતના 1980ના દાયકાના રાજકારણમાં પોતાની 'ખામ' થિયરી માટે જાણીતા બન્યા હતા. મધ્યાહન ભોજન યોજનાના પ્રણેતા માધવસિંહે ચાર વખત રાજ્યનું મુખ્યપ્રધાનપદ સંભાળ્યું હતું. મૂળ પત્રકાર અને સાહિત્યના જીવ એવા માધવસિંહ સોલંકીના કાર્યકાળમાં વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતવાનો રેકોર્ડ કોંગ્રેસે કર્યો હતો, જે આજ સુધી અકબંધ છે.
તેઓ ગુજરાતના સાતમા મુખ્યપ્રધાન હતા. તેઓ 1976માં મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 1981માં તેમણે ફરી એક વખત ગુજરાતની સત્તા સંભાળી હતી. 1985માં મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે તેમના નેતૃત્વ હેઠળ રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી.
તેમનો જન્મ તા.30 જુલાઇ, 1927ના રોજ થયો હતો. ગત વર્ષે તેમણે પોતાના 94 વર્ષના જન્મદિવસની ઉજવણી ગાંધીનગરમાં કરી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતા, ધારાસભ્યો, કાર્યકરો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.