મોદી સરકારના ટીકાકાર ગણાતા યશવંત સિંહા તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
યશવંત સિંહા મમતા બેનર્જીની પાર્ટીમાં સામેલ
અટલ સરકારમાં હતા કેન્દ્રીય મંત્રી
પીએમ મોદીના છે વિરોધી
અટલ સરકારમાં નાણાંમંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા ભાજપના પૂર્વ કદ્દાવર નેતા યશવંત સિંહાએ મમતા બેનર્જીની પાર્ટીમાં એન્ટ્રી મારી લીધી છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ થોડા સમયથી તેઓ સક્રિય રાજકારણથી દૂર હતા અને શનિવારે તેઓ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ પહોંચ્યા ત્યાં જ પાર્ટીની સદસ્યતા સ્વીકાર કરી.
રાજ્યસભાની ટિકિટ મળે તેવી સંભાવના
સૂત્રોનું માનવું છું કે યશવતં સિંહાને દિનેશ ત્રિવેદીની જગ્યા પર રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. કોલકાતામાં મમતા બેનર્જીની પાર્ટીમાં સામેલ થતા જ સિંહાએ ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસને મળશે મનોબળ
નોંધનીય છે કે જ્યારથી બંગાળમાં ચૂંટણીના પડઘમ શરૂ થયા છે ત્યારથી જ મમતા બેનર્જીની પાર્ટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક એક કરીને ધારાસભ્યથી લઈને સાંસદો મમતાનો સાથ છોડી રહ્યા છે અને બધા જ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. એવામાં તૃણમૂલ કોંગ્રેસમાં યશવંત સિંહાની એન્ટ્રી બાદ પાર્ટીને થોડો મનોબળ મળશે.
યશવંત સિંહા સતત સરકારની સામે બોલતા આવ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસને પણ એવા ચહેરાની જરૂર છે જે મોદી સરકાર પર આકરા પ્રહારો કરે.
IAS રહી ચૂક્યા છે સિંહા, પીએમ મોદીની નીતિઓના વિરોધી
યશવંત સિંહાની પૃષ્ઠભૂમિ પર નજર નાંખીએ તો તેઓ IAS અધિકારી રહી ચૂક્યા છે અધિકારીની નોકરી છોડીને તેઓ રાજકારણમાં આવ્યા હતા. ચંદ્રશેખરની સરકારમાં પણ તેઓ મંત્રી હતા અને અટલ સરકારમાં તેમનું કદ મોટું માનવામાં આવતું હતું. અટલ બિહારી વાજપેયીના નજીકના ગણાતા યશવંત સિંહા નરેન્દ્ર મોદી સાથે મધુર સંબંધો રાખી ન શક્યા. પીએમ મોદીની આર્થિક અને વિદેશ નીતિનો યશવંત સિંહા વિરોધ કરે છે. જોકે તેમના દીકરા જયંત સિંહા આજે પણ ભાજપના સાંસદ છે.